20 વર્ષની શબનમ શેખ મુંબઈ થી અયોધ્યા પગપાળા યાત્રા કરી ભગવાન શ્રી રામની મૂર્તિના દર્શન કરશે
ઠેર ઠેર લોકો દ્વારા થતાં સ્વાગત અને સન્માન વધારી રહ્યા છે જોમ અને ઉત્સાહ
ખભા પર ભગવો ધ્વજ, ધ્વજમાં હનુમાનજીનું ચિત્ર,મનમાં રામનામનો જાપ અને મુંબઈથી અયોધ્યા સુધીની પદયાત્રા.સામાન્ય લાગતી આ વાત અસામાન્ય છે,કારણ કે આ વાત મુસ્લિમ યુવતી શબનમ શેખની છે. જે ભગવાન રામ પ્રત્યે અદભુત આસ્થા ધરાવે છે.શબનમ ની આ યાત્રામાં તેને અનેક સારા નરસા અનુભવો થયા છે.ઠેર ઠેર લોકો તેનું સ્વાગત સન્માન કરે છે તો અમુક લોકો વિડિયો મૂકી તેનો વિરોધ પણ કરે છે.શબનમની આ પદયાત્રામાં રમણ રાજ શર્મા અને વિનીત પાંડે સાથ આપી રહ્યા છે.હાલ શબનમ શેખના વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે લોકો તેના આ નિર્ણયને સપોર્ટ કરવા સાથે પ્રશંસા પણ કરી રહ્યા છે.રામ લલ્લા પર અથાક આસ્થા ધરાવતી શબનમ કહે છે કે રામની પૂજા કરવા માટે હિંદુ બનવાની જરૂર નથી, માણસ બનવા માટે પૂરતું છે.
20 વર્ષની શબનમ શેખ બી.કોમ.ની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે અને રામમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. તેમને અયોધ્યા જતા દેશ અને દુનિયાના લોકો વિશે ખબર પડી અને તેણી એ પણ પગપાળા અયોધ્યા જવાનું નક્કી કર્યું.22 જાન્યુઆરીએ અભિષેક વિધિ થવા જઈ રહી છે ત્યારે શબનમે પણ પોતાની આસ્થાની આહુતિ રૂપે પગે ચાલીને ભગવાન શ્રી રામના દર્શન કરવાનું નક્કી કર્યું.
શબનમ શેખ મુંબઈ થી અયોધ્યા તરફ આગળ વધી રહી છે ત્યારે તેણી ના દર્શનનો સંકલ્પ પણ દ્રઢ બનતો જાય છે.કોઈ તેને ડગાવી શકતું નથી.અનેક મુશ્કેલીઓનો સામનો કરતા જય શ્રી રામ ના નારા સાથે તે અયોધ્યા પહોંચવા અંતર કાપતી રહે છે. શબનમે અત્યાર સુધી 400 કી.મી થી વધુ પ્રવાસ ખેડી નાખ્યો છે દરરોજ તે 25 થી 30 કિલોમીટર ચાલી રહી છે.
યુવાનોને સાઈકલ પર અને પગપાળા અયોધ્યા જવાની વાત સાંભળી અને તેના મનમાં વિચાર આવ્યો કે શા માટે પગપાળા અયોધ્યાની યાત્રા ન કરવી? તેણે તેના સાથીઓ ને અને પિતાજીને આ વાત જણાવી. પિતાજીએ રાજી થઈ જવા માટે પરવાનગી આપી જ્યારે માતા આ બાબત થોડા ઉદાસીન જણાયા.શબનમ આ પહેલા પણ મંદિરમાં દર્શન કરવા જઈ ચૂકી છે.
શબનમના હાથમાં ભગવો ધ્વજ છે જેના પર હનુમાનજીની તસવીર કોતરેલી છે. પીઠ પર શોલ્ડર બેગ છે જેમાં અયોધ્યા મંદિરનો ઉલ્લેખ છે. તેણી જણાવે છે કે હું ભારતની નારી છું અને જે ચાહું તે કરી શકવા સમર્થ છું.
હજુ તેણી 1400 કી.મી માંથી અડધું અંતર પણ કાપ્યું નથી ત્યારે 22 જાન્યુઆરી સુધીમાં તે પહોંચશે કે કેમ તે નક્કી કરવું મુશ્કેલ છે પણ આ બાબત તે વધુ વિચારતી નથી કારણ કે એનું અંતિમ ધ્યેય રામ લલ્લા ના દર્શન છે અને તે પોતે કરીને જ રહેશે.