રાજકોટના નાના મોવ રોડ પર વિવિધ કર્મચારી સોસાયટીમાં રહેતા દૂરદર્શનના કર્મચારીનો પુત્ર રાજકોટમાં અભ્યાસ કર્યા બાદ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં તબીબી વિદ્યા શાખાનો ઉચ્ચ અભ્યાસ કરી દિલ્હીની એમ્સમાં ન્યુરોસર્જન તરીકે જોડાયો હતો. તાજેતરમાં યુએસ માંથી ટ્રેનિંગ પૂર્ણ કરીને પરત દિલ્હી આવ્યો હતો પરંતુ અગમ્ય કારણોસર રવિવારે દિલ્હી ખાતે ના ફ્લેટમાં દવાનો ઓવરડોઝ લઈ આપઘાત કરી લેતા ભારે અરેરાટી મચી જવા પામી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનો દ્વારા પુત્રના પાર્થિવ દેહને રાજકોટ ખાતે લવાયો હતો અને મોડી રાત્રે અંતિમયાત્રા નીકળી હતી તે સમયે બહોળી સંખ્યામાં ડોક્ટર વર્ગ અંતિમ યાત્રામાં જોડાયો હતો.
રાજકોટના નાનામોવા રોડ પર રાજનગર પાસે આવેલી વિવિધ કર્મચારી સોસાયટીમાં રહેતા અને દૂરદર્શનમાં કામ કરતા મનસુખભાઈ ધોણીયાનો પુત્ર ડો.રાજ ધોણીયા દિલ્હીની એઇમ્સ ખાતે 7 વર્ષ પૂર્વે અભ્યાસ પૂર્ણ કરી એઈમ્સમા જ ન્યુરોસર્જન તરીકે ફરજમાં જોડાયો હતો.રવિવારે ડો.રાજ મનસુખભાઈ ઘોણીયાએ દિલ્હીના ગંગારામ વિસ્તારમાં આવેલા પોતાના ફ્લેટમાં ઇન્જેક્શન મારફત વધુ પડતો ડોઝ લઈ આપઘાત કરી લેતા ભારે અરેરાટી મચી જવા પામી હતી. જેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડ્યા બાદ પરીવારજનોને જાણ કરાતા તેઓ તુરંત રાજકોટથી દિલ્હી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને પુત્રના મૃતદેહને જોઈ ભાંગી પડ્યા હતા. પરિવારના તમામ સભ્યોની આંખોમાં આંસુઓનો દરિયો વહી ગયો હતો.
બાદમાં પુત્ર રાજના પાર્થિવ દેહને એર એમ્બ્યુલન્સ મારફત રાજકોટ લવાયો હતો અને ત્યાં તેમના ઘરે અંતિમ દર્શન માટે રખાયો હતો. તે સમયે સગા સંબંધીઓ, પરિચિતો અને મોટા પ્રમાણમાં ડોક્ટર વર્ગ આવી પહોંચ્યો હતો. મોડી રાત્રે જ નીકળેલી અંતિમયાત્રામાં પણ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.