ઉત્તરાયણ પર્વની મોડી રાત્રે દહેગામ તાલુકાના લીહોડા ગામમાં દારૂ પીધા બાદ સર્જાયો કાંડ
બોટાદમાં ૨૦૨૨ની સાલમાં જુલાઇ મહિનામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં સત્તાવાર આંકડા મુજબ ૪૨ લોકોના મોત થયા હતાં. આ સમયે સરકારે લઠ્ઠાકાંડ નિવારવા માટે કરેલી જાહેરાતો અને લેવાયેલા પગલાઓ નિરર્થક સાબિત થયા છે. પોલીસ ગુજરાતમાં બેફામ દારૂના વેચાણ અને લઠ્ઠાકાંડને અટકાવી શકતી નથી. ગુજરાતના પાટનગર ગાંધીનગરના દેહગામ ખાતે વધુ એક લઠ્ઠાકાંડની આશંકા સર્જાઇ છે. ઝેરી દારૂ પીવાથી બે લોકોના મોત થયાના પ્રાથમિક અહેવાલ છે. જયારે એકની હાલત હજુ ગંભીર જણાવાઇ રહી છે. આ આંકડો વધવાની શકયતા પણ નકારી શકાતી નથી.
ગાંધીનગરના દહેગામમાં દારૂ પીવાથી બેના મોત થયા છે. તો કુલ સાત લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જે પૈકી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે. દહેગામ તાલુકાના લીહોડા ગામમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે.
મળતી વિગત મુજબ ઉત્તરાયણ પર્વની મોડી રાત્રે દહેગામ તાલુકાના લીહોડા ગામમાં બે લોકોના મોત અને અન્ય અસરગ્રસ્ત 7 લોકો પૈકી ત્રણ લોકોની તબીયત અચાનક લથડી હોવાનું સામે આવ્યુ હતુ. આ ઘટનામાં દેશી દારુ પીધા બાદ અને અન્ય બીમારીના કારણે બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. અન્ય ત્રણ લોકોની પણ દારુ પીધા બાદ તબીયત બગડી હોવાનું સામે આવ્યુ છે.