ઉત્તરાખંડને આદિ અનાદિકાળથી દેવભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પ્રસિદ્ધ ચારધામ યાત્રા પણ આવેલી છે. પંચબદ્રી, પંચકેદાર, પંચપ્રયાગની સાથેસાથે કેટલાક સિદ્ધપીઠ પણ અહીં આવેલા છે. આ સિદ્ધપીઠમાં ટિહરીમાં આવેલા સુરકંડા દેવી મંદિરનું અનેરું માહાત્મ્ય છે. અહીં માતાના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓને પ્રસાદીમાં રૌંસલીનાં પાંદડાં આપવામાં આવે છે.
ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં કદ્દુખાલમાં સિરકુટ પર્વત પર સિદ્ધપીઠ માતા સુરકંડા દેવીના આ મંદિરમાં માતા સતીજીના માથાનો ભાગ પડ્યો હતો, તેથી આ જગ્યા પણ સિદ્ધપીઠ (શક્તિપીઠ) તરીકે ઓળખાવા લાગી હતી. જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણ અને અન્ય પૌરાણિક ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે. અહીં નવરાત્રિમાં ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ દેવીનાં દર્શન કરવા આવે છે.
સુરકંડાની જળધારા ગંગાજળની જેમ જ પવિત્ર છે
સુરકંડા દેવીના મંદિરની પાસે એક જલધારા વહે છે. આશ્ચર્યની વાત એ છે કે, સિરકુટ પર્વત ખૂબ જ ઊંચાઇ ધરાવે છે અને આ મંદિર પણ ખૂબ જ ઊંચાઇએ આવેલું છે. આ પર્વત સમુદ્રતટથી અંદાજિત 9995 ફૂટની ઊંચાઇ પર આવેલો છે. આ પર્વતની આસપાસ ક્યાંય પાણી જોવા મળતું નથી, પરંતુ મંદિરથી થોડે દૂર એક પાણીની જલધારા વહે છે, જેને અહીં સૌ કોઇ ગંગા સમાન જ ગણાવે છે, તેથી જ અહીં સુરકંડા મંદિરમાં ગંગાદશેરા તહેવાર પણ ઊજવવામાં આવે છે. આ જ ગંગાની જલધારાથી સુરકંડા દેવીને સ્નાન કરાવવામાં આવે છે. અહીં આવનારા શ્રદ્ધાળુઓ પણ આ જલધારામાંથી આવેલું પાણી ભરીને ઘરે લઇ જાય છે અને તેનો ઉપયોગ ગંગાજળની જેમ જ અન્ય ધાર્મિક કાર્યો માટે કરે છે. આ પવિત્ર જળને લઇને એવી ધાર્મિક માન્યતા છે કે, જ્યારે રાજા ભગીરથ ગંગાજીને પૃથ્વી પર લાવ્યા હતા ત્યારે ભગવાન શિવજીની જટાઓમાંથી ગંગાની એક ધારા અહીં પડી હતી, તેથી આ જગ્યા પર જળસ્રોત ફૂટે છે એટલે કે જળધારા વહે છે.
મંદિર જવા માટેનો ઉત્તમ સમય કયો છે?
સિદ્ધપીઠ દેવી સુરકંડા મંદિરના કપાટ સમગ્ર વર્ષ દરમિયાન ખુલ્લા રહે છે. આ મંદિરથી બદ્રિનાથ, કેદારનાથ, તુંગનાથ અને ચૌખંબા ઉપરાંત ગૌરીશંકર અને નીલકંઠ સહિતની અન્ય પર્વત શૃંખલાઓ પણ જોવા મળે છે. દેવી સુરકંડાના દર્શનમાત્રથી શ્રદ્ધાળુઓને પાપમાંથી મુક્તિ મળી જાય છે અને માત્ર આ જ જન્મનાં નહીં, પરંતુ સાતેય જન્મોનાં પાપમાંથી મુક્તિ મળી જાય છે. સુરકંડા દેવીનાં દર્શન કરવાથી શ્રદ્ધાળુઓના મનની ઈચ્છાઓ પણ સત્વરે પૂરી થાય છે. સુરકંડા દેવી મંદિર સવારે નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. જોકે, દર્શનાર્થે જવા માટે તમારે બેથી ત્રણ કલાક ફાળવવા જરૂરી છે, કારણ કે મંદિર સુધી પહોંચવા માટે અંદાજિત ત્રણ કિમી. સુધી પગપાળા યાત્રા કરવી પડે છે.
પ્રસાદમાં પાંદડાંઆપવામાં આવે છે!
ભારતભરનાં મંદિરોમાં શ્રદ્ધાળુઓને મંદિર પ્રમાણે અલગ અલગ પ્રકારની પ્રસાદી આપવામાં આવે છે. કેટલાંક મંદિરોમાં મોહનથાળ, લાડુડી, પેંડા, ટોપરાં અથવા તો સિંગ-સાકરિયા કે કોઇ ફળની પ્રસાદી આપવામાં આવતી હોય છે. શ્રી કૃષ્ણનાં કેટલાંક મંદિરોમાં માખણ-મિસરીનો પ્રસાદ પણ આપવામાં આવે છે. ભારતનાં કેટલાંક માતાજીના મંદિરમાં તો ભક્તોને ચૂંદડીનો પ્રસાદ પણ આપવામાં આવે છે, પરંતુ ઉત્તરાખંડના આ સુરકંડા દેવીના મંદિરમાં પ્રસાદમાં રૌંસલી (ઔષધીય વનસ્પતિ)નાં પાંદડાં આપવામાં આવે છે. જેનાથી શ્રદ્ધાળુઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને નીરોગી રહે છે. અહીંના સ્થાનિક લોકો આ રૌંસલીનાં લાકડાંનો ઉપયોગ પૂજા માટે પણ કરે છે. અહીંના લોકો રૌંસલીને દેવવૃક્ષ માને છે અને તેની પૂજા-અર્ચના પણ કરે છે. નોંધનીય છે કે, અહીંના લોકો આ રૌંસલીનાં પાંદડાં કે લાકડાંનો ઉપયોગ અન્ય વ્યાવસાયિક રીતે એટલે કે ઈમારતો બાંધવા કે અન્ય કામકાજ માટે કરતા નથી.
સુરકંડા જવા માટેનો ઉત્તમ સમય કયો છે?
સુરકંડા જવા માટે તમે કોઇ પણ સમયે જઇ શકો છો, પરંતુ ચોમાસામાં સુરકંડા જવાનું ટાળવું હિતાવહ છે, કારણ કે અહીં ખૂબ જ ભારે વરસાદ થાય છે. વધુમાં અહીં ભૂસ્ખલન પણ થતું હોવાથી આ સમયે સુરકંડા દેવીનાં દર્શન ન કરવાં જ હિતાવહ છે.
કેવી રીતે પહોંચશો?
સુરકંડા દેવી મંદિર ધનોલ્ટીથી 8 અને ચંબાથી 22 કિમી. દૂર પર્વત પર આવેલું છે. ધનોલ્ટી અથવા ચંબા પહોંચ્યા બાદ તમે સ્થાનિક વાહનોની મદદથી મંદિરે દર્શનાર્થે જઇ શકો છો. જો તમે વિમાન માર્ગે દેવીનાં દર્શન કરવા ઈચ્છતા હોવ તો તમને સૌથી નજીકનું એરપોર્ટ દહેરાદૂનનું જોલી ગ્રાન્ટ એરપોર્ટ નજીક પડે છે, જે અંદાજિત 80 કિમી.ના અંતરે આવેલું છે. એરપોર્ટથી તમને ખાનગી વાહનો તેમજ સરકારી વાહનો સરળતાથી મળી રહે છે. જો તમે સડક માર્ગે જવા માંગતા હોવ તો મસૂરી થઇને અહીં આવી શકાય છે. ધનોલ્ટીથી મસૂરી અંદાજિત 33 કિમી. દૂર છે. અહીંથી તમને સરકારી તેમજ ખાનગી વાહનો મળી શકે છે. જો તમે ટ્રેન મારફતે ત્યાં જવા માંગતા હોવ તો સુરકંડા દેવી મંદિરથી અંદાજિત 65 કિમી. દહેરાદૂન રેલવે સ્ટેશન નજીક પડે છે. દહેરાદૂન રેલવે સ્ટેશન માટે તમને ભારતનાં મુખ્ય શહેરોથી એકદમ સરળતાથી ટ્રેન મળી જાય છે. નોંધનીય છે કે સૌથી વધુ ટ્રેનોનું કનેક્ટિંગ દિલ્હી સિટી સાથે છે.