- વલસાડના આદિજાતિ વિસ્તારોમાં પરંપરા
- ઘોર નૃત્ય કરી બેસતા વર્ષને આવકારાય છે
- પેઢી દર પેઢી આ પરંપરા નિભાવી રહ્યા છે સ્થાનિકો
વલસાડ જિલ્લામાં પણ નવા વર્ષેની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જોકે વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં ઘોર નૃત્ય કરી અને નવા વર્ષને વધાવામાં આવ્યું હતું. જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં પરંપરાગત ઘોર નૃત્ય કરી અને આદિવાસીઓએ નવા વર્ષને આવકાર્યું હતું .
જિલ્લાના શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહપૂર્વક નવા વર્ષને વધાવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે નવા વર્ષ ને આવકારવા અને નવા પાકની ખુશી માં આદિવાસીઓ ઘોર નૃત્ય કરે છે. આ વિસ્તારમાં ઘેરૈયા ટોળકીઓ ગામે ગામ ફરે છે અને લોકોને માતાજીના આશીર્વાદ આપે છે. ઘેરૈયા ટોળકીને યજમાન પરિવારો ઉત્સાહપૂર્વક આવકારે છે. ત્યારે કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘરે પણ ઘેરૈયા ટોળકી પહોંચતા ઘેરૈયાઓની સાથે મંત્રી જીતુભાઈ ચૌધરી અને તેમના પરિવારે ઉત્સાહને વધાવ્યા હતા. આમ વર્ષો જૂની આ પરંપરા આ વખતે પણ યથાવત રહી હતી. મંત્રી જીતુભાઈ ચૌધરીએ પણ આ સાંસ્કૃતિક પરંપરાને બિરદાવી હતી. પેઢીઓથી ચાલતી આ પરંપરાને યુવા પેઢી પણ ઉત્સાહપૂર્વક આગળ વધારી રહી છે.
બાપદાદાના સમયથી ચાલી આવતી ઘેરૈયા પરંપરા આજે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના યુવા વર્ગ દ્વારા અતૂટ રીતે કાયમ કરવામાં આવી છે. આ સાથે જ ઘેરૈયાઓ લોકોની સુખાકારી માટે સમગ્ર વર્ષ સારું વીતે તેવી શુભેચ્છાઓના ભાગરૂપે છેલ્લા ઘણા વર્ષોથી આ ઘેરૈયા નૃત્ય કરતાં આવ્યા છે.
સમય બદલાતા રીતી રીવાજો પણ બદલાતા હોય છે, અને ગામે ગામ આધુનિકતા પહોચી હોય, ત્યારે પરંપરાને વળગી રહેવું એ પણ આજના યુગમાં અચરજ પમાડે એવું છે. તેવામાં હજી પણ દક્ષિણ ગુજરાતમાં ઘેરૈયાઓને પોતાના ઘરે નૃત્ય માટે આમંત્રિત કરવામાં આવતા હોય છે, અને આ નૃત્ય કે, જે માત્ર પુરુષો જ કરતા હોય છે. તેઓ લોકોના ઘરે ઘરે જઈ મંગલ કામના કરતા હોય છે. વલસાડ જીલ્લાના ઘેરૈયાઓને લોકો ખૂબ પ્રેમથી બોલાવતા હોય છે, અને આમ પુરુષોની મંડળી માતાજીને દરેકની મંગલ કામના માટે પ્રાર્થના કરતા હોય છે. આદિવાસી પુરુષો દ્વારા ભજવાતા આ નૃત્યમાં ખૂબ જ તાકાત હોય છે, અને એમના નૃત્યથી એક અલગ જ જોમ ઉભું થતું હોય છે, જેથી વૃદ્ધોમાં પણ અલગ શક્તિનું સિંચન થાય છે.
વલસાડના આજુબાજુના ગામો ખાતે આદિવાસી ભાઈઓ દિવાળી અને નવું વર્ષ તેમજ ભાઈબીજના દિવસ સુધી સમગ્ર પંથક તથા ગામની આસપાસના ફળિયાઓમાં ફરી માતાજીના નામે ઘેરૈયા રમે છે. જોકે, આદિવાસી ભાઈઓનું કહેવું છે કે, આ ઘેરૈયા માતાજીના નામે ગવડાવવામાં આવે છે, અને આ ઘેરૈયામાં જો કોઈ માતાજીના નામની માનતા લીધેલ હોય કે, માતાજીના નામની શ્રદ્ધા હોય તો આ આદિવાસી ભાઈઓ તેમના ઘરની સામે ઘેર ગાય છે, સાથે જ આ ઘેર ગાવાથી માનતા પૂરી થયાનો પણ આભાર માનવામાં આવે છે. જમીનમાં પગ ઠોકીને જે રીતે ગોળ ગવાય છે, એનાથી ધરતી ધૂણી જાય છે, અને ખરાબ શક્તિઓ પણ ગાયબ થઈ જાય છે. આ સાથે જ આદિવાસી ભાઈઓ દ્વારા સમાજમાં કુટુંબીઓને આર્થિક પરિસ્થિતિને બદલવાના ભાગરૂપે પણ આ ગોર ગાવામાં આવતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ લોકોની સુખાકારી માટે અને આખું વર્ષ સરસ રીતે વીતે એવી શુભેચ્છાઓના ભાગરૂપે આ ઘોર નૃત્ય કરવામાં આવે છે.


