- 31 ડિસેમ્બરની રાત્રે યુવકની હત્યા થઈ હતી
- સુરતના ડિંડોલી વિસ્તારમાં બની ઘટના
- ત્રણ મિત્રોએ મળીને યુવકની હત્યા કરી
પોલીસ ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા રેલ્વે ટ્રેક નજીકથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવવાની ઘટના સામે આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મુખ્ય આરોપી 31 ડિસેમ્બરના રોજ પોતાની ઓટો રીક્ષા લઇ પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ મૃતકે ઓટો રિક્ષા રોકી તેની સાથે ગાળાગાળ અને મારઝુંડ કરી હતી. જેની અદાવત રાખી મુખ્ય આરોપી સહિત તેના મિત્રોએ મૃતકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે ગુનાની કબુલાત આરોપીઓએ પોલીસ પૂછપરછમાં કરી છે.
પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યાં
સુરતના ડીંડોલીમાં 31મી ડિસેમ્બરના રોજ રાત્રીના સમય દરમિયાન નવાગામ ડીંડોલી ખાતે આવેલા રેલ્વે ટ્રેક નજીકથી રાજા નામના યુવકની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી ડીંડોલી પોલીસે લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન, તપાસ કરી રહેલી ડીંડોલી પોલીસને માહિતી મળી હતી કે, 31મી ડિસેમ્બરના રોજ રેલ્વે ટ્રેક નજીક રાજા નામના યુવકની હત્યા કરનારા આરોપીઓ નવાગામ ડીંડોલી વિસ્તારમાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. જે ચોક્કસ માહિતીના આધારે પેટ્રોલિંગમાં રહેલી ડીંડોલી પોલીસની ટીમે હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
હત્યાનું કારણ શું?
જેમાં મુખ્ય આરોપી ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ, શ્રવણ ઉર્ફે રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય બહાદુર મોર્યાની ધરપકડ કરવામાં આવી હતી. ડીંડોલી પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ દ્વારા હત્યા પાછળનું કારણ પૂછતા મુખ્ય આરોપી ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલે જણાવ્યું હતું કે, પોતે 31મી ડિસેમ્બરના રાત્રિના દસ વાગ્યાના સુમારે ઓટો રીક્ષા લઇ મહાદેવ નગર સોસાયટીમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે રાજા કિશન ગાયકવાડ નામના શખસે તેની ઓટોરિક્ષા રોકાવી હતી. ઓટોરિક્ષા રોકાવી તેની જોડે ગાળાગાળી અને મારઝુંડ કરી હતી. જે બાદ પોતે ત્યાંથી ઓટોરિક્ષા લઈ ચાલ્યો ગયો હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, પોતાનો બદલો વાળવા માટે ઘટના સ્થળેથી ઓટો રીક્ષા લઈ ચાલ્યા ગયા બાદ ફરી પોતાના મિત્રો શ્રવણ ઉર્ફે રાહુલ અને હિમાંશુ ઉર્ફે કાંચા સાથે લાકડાના ફટકા અને ચપ્પુ લઈ મહાદેવ નગર રેલવે પાટા પર પહોંચ્યો હતો. અહીં બેઠેલા રાજા કિશન ગાયકવાડ અને તેના મિત્રો ઉપર લાકડા અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ રાજા કિશન ગાયકવાડના મિત્રો ભાગી છુટ્યા હતા. જ્યારે હાથે ચઢી ગયેલા રાજા કિશન ગાયકવાડ ઉપર પોતે અને તેના મિત્રો ચપ્પુ અને લાકડાના ફટકા લઈ તૂટી પડ્યાં હતા. જે હુમલા બાદ ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા. જે ઘટનામાં રાજા કિશન ગાયકવાડનું મોત નીપજ્યું હતું. હાલ તો ઘટનામાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


