- ખાડો ખોદે કોઈ ને પડે કોઈ’ જેવો ઘાટઃ શાસક પક્ષને નાગરિકોની હાલાકીની પડી નથી
- મકરબામાં ખાડાને કારણે સર્જાયેલ અકસ્માત વિશે કમિટીમાં કોઈ કોર્પોરેટરે પ્રશ્ન સુદ્ધાં ન કર્યો
- ચેતવણીના બોર્ડ નહીં મૂકવાને કારણે નાગરિકોને નાના- મોટા અક્સમાતોનો ભોગ બનવું પડે છે
AMC દ્વારા રોડ બનાવવા સહિતની કામગીરી માટે કરોડોના કોન્ટ્રાક્ટ મેળવનાર કોન્ટ્રાક્ટરો દ્વારા ખાડા કરી દેવાયા પછી તેની ફરતે આડશો કે ચેતવણીના બોર્ડ નહીં મૂકવાને કારણે નાગરિકોને નાના- મોટા અક્સમાતોનો ભોગ બનવું પડે છે. આમ, ‘ખાડો ખોદે કોઈ ને પડે કોઈ’ જેવો ઘાટ સર્જાયો હતો. તાજેતરમાં મકરબા વિસ્તારમાં રોડ પર કોન્ટ્રાકટર RKC ઇન્ફ્રા. દ્વારા જાહેર ચેતવણીના બોર્ડ કે સાઇન બોર્ડ મૂક્યા વિના કામગીરી કરવામાં આવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ કોન્ટ્રાક્ટરે મોટો ખાડો ખોદીને મૂકી દીધા પછી તેની આસપાસ ચેતવણી માટે સાઈન બોર્ડ કે આડશો નહીં મૂકવાને કારણે એક મોટરકાર ખાડામાં ખાબકી હતી. જોકે, આ ગંભીર અકસ્માતમાં સદનસીબે કાર ચાલકને ખાસ ઈજા થઈ નહોતી.પરંતુ મોટરકારને નુકસાન થયું હતું. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં આ મુદ્દે ખુદ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન જયેશ પટેલ અજાણ હોવાને પગલે વિવાદ સર્જાયો છે. એટલું જ નહીં પરંતુ રોડ કમિટીમાં BJPના કોર્પોરેટરોએ આ મુદ્દે કોઈ રજુઆત સુધ્ધાં કરી ન હોવાનું જાણવા મળે છે. શાસક પક્ષના કોર્પોરેટરોને રોડ રસ્તા મામલે નાગરિકોને પડી રહેલી મુશ્કેલીની કોઈ પડી નથી. માત્ર કામો ને મંજૂર કરવામાં તેઓને રસ હોય છે.
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે અકસ્માત મામલે થયેલી પોલીસ ફરીયાદ અંગે સમાચાર માધ્યમથી મને માહિતી છે પરંતુ તેમાં બીજી કોઈપણ માહિતીની મને ખબર નથી અને આ મામલે મેં અધિકારીઓને કંઈ પણ પૂછયું નથી. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેનથી લઈ અને ભાજપના કોર્પોરેટરો પોતાના વિસ્તાર અને વિવિધ વિસ્તારોના રોડ મામલે AMC અધિકારીઓ સમક્ષ કોઈપણ રજૂઆત કરતા નથી. શહેરમાં એક પણ એવો રોડ નહીં હોય કે તેની કોઈ ફરીયાદ ના હોય.


