ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝની પાંચમી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મેચની પહેલી ઈનિંગમાં અભિષેક શર્માએ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું. અભિષેક શર્મા ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો. તેને 37 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી, જેમાં 5 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. અભિષેકે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી T20 મેચમાં આ કારનામું કર્યું.
ટીમ ઈન્ડિયા માટે T20Iમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે નોંધાયેલો છે, જે હિટમેન તરીકે પ્રખ્યાત છે. રોહિતે 35 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ રીતે, અભિષેક શર્મા ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બનવાથી માત્ર 2 બોલ ચૂકી ગયો. અભિષેક શર્માએ બેટિંગ સિવાય બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને 2 વિકેટ લીધી. જાણો અભિષેક શર્માના પરિવાર વિશે.
અભિષેક શર્માનો પરિવાર
અભિષેક શર્માનો જન્મ 4 સપ્ટેમ્બર 2000ના રોજ અમૃતસર, પંજાબમાં થયો હતો. અભિષેકના પિતા રાજકુમાર શર્મા પણ એક સમયે ક્રિકેટ રમતા હતા અને હાલમાં બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી કરે છે. તેની માતાનું નામ મંજુ શર્મા છે, જે ગૃહિણી છે. તેને સાનિયા શર્મા અને કોમલ શર્મા નામની બે બહેનો છે. અભિષેકે માત્ર 3 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને તેના પિતા તેના પ્રથમ કોચ હતા.
અભિષેક શર્માની ઘરેલુ ક્રિકેટ કારકિર્દી
અભિષેક શર્માએ પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત પંજાબ તરફથી અંડર-19માં રમીને કરી હતી. તેને 2015-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 25 ફેબ્રુઆરી 2017ના રોજ, અભિષેક શર્માએ વિદર્ભ સામે પંજાબ માટે લિસ્ટ એ ડેબ્યૂ કર્યું. પોતાની પ્રથમ મેચમાં તેને 46 રનની ઈનિંગ રમી હતી અને 2 વિકેટ ઝડપી હતી. આ પછી, અભિષેકે 6 ઓક્ટોબર 2017ના રોજ 2017-18 રણજી ટ્રોફીમાં હિમાચલ પ્રદેશ સામે પંજાબ માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું. જેમાં તેને 94 રનની ઈનિંગ રમી અને એક વિકેટ પણ પોતાના નામે કરી.
ડિસેમ્બર 2017માં તેને ન્યુઝીલેન્ડમાં આયોજિત 2018 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યાં તેને પોતાના શાનદાર પ્રદર્શનથી ભારતની અંડર-19 ટીમને વર્લ્ડકપ જીતાડવામાં મદદ કરી હતી. 28 ફેબ્રુઆરી 2021ના રોજ મધ્યપ્રદેશ સામે પંજાબ તરફથી રમતા, અભિષેક શર્માએ લિસ્ટ-એ ક્રિકેટમાં ભારતીય દ્વારા 42 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેને 2022-23 રણજી સિઝનમાં પંજાબની કપ્તાની પણ સંભાળી હતી. તેને 2023 સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન 51 બોલમાં 112 રન ફટકારીને પંજાબના સ્કોર 275/6માં મદદ કરી હતી. આ કોઈપણ ભારતીય T20 ટીમ દ્વારા સૌથી વધુ T20 સ્કોર છે અને એક ઈનિંગ્સમાં સૌથી વધુ સિક્સર (22) પણ છે.
અભિષેક શર્માની IPL કારકિર્દી
અભિષેક શર્માને 2018ની IPLની ઓક્શનમાં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)એ રૂ. 55 લાખમાં ખરીદ્યો હતો. 12 મે 2018ના રોજ, અભિષેક શર્માએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેની IPLની શરૂઆત કરી અને માત્ર 19 બોલમાં 46 રન બનાવીને બધાને પ્રભાવિત કર્યા. અભિષેકને દિલ્હી તરફથી ઘણી મેચ રમવાની તક મળી ન હતી. જે બાદ 2019માં સનરાઈઝર્સ હૈદરાબાદે અભિષેકને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તે 2021 IPL સિઝન સુધી SRH સાથે સંકળાયેલો રહ્યો અને તેને શાનદાર પ્રદર્શન કર્યું.
2022ની IPL ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ફરી એકવાર 6.50 કરોડ રૂપિયાની જોરદાર બોલી લગાવીને અભિષેકને પોતાના કેમ્પમાં સામેલ કર્યો. 2022 IPLમાં, તેને 14 મેચ રમી અને 133.13ના સ્ટ્રાઈક રેટથી કુલ 426 રન બનાવ્યા. 2023 IPL સિઝનમાં SRH તરફથી રમતા અભિષેકે 11 મેચમાં 14.95ના સ્ટ્રાઈક રેટથી 226 રન બનાવ્યા હતા. IPL 2024 માં અભિષેક શર્માનું પ્રદર્શન તોફાની રહ્યું. અભિષેક ટ્રેવિસ હેડ સાથે પહેલા બોલથી જ બોલરો પર હુમલો કરતો હતો. સિઝનની 16 ઈનિંગ્સમાં તેને 32 ની એવરેજ અને 204 ના સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા. તેમના બેટમાંથી સૌથી વધુ 42 સિક્સર લાગી.
અભિષેક શર્મા સાથે જોડાયેલો વિવાદ
પંજાબના યુવા ક્રિકેટર અભિષેક શર્માનું નામ એક વિવાદમાં આવ્યું હતું. હકીકતમાં, 20 ફેબ્રુઆરી 2024 ના રોજ, તાન્યા સિંહ નામની એક મોડલે ગુજરાતના સુરતમાં તેના એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે તાન્યાએ છેલ્લો ફોન અભિષેક શર્માને કર્યો હતો, ત્યારબાદ તેને શર્માને વધુ પૂછપરછ માટે બોલાવ્યા. બાદમાં ખબર પડી કે પોલીસને તાન્યાના ફોનમાંથી બંનેની ઘણી સેલ્ફી મળી છે. રિપોર્ટ મુજબ, તેઓ રિલેશનશિપમાં હતા અને તેમનું બ્રેકઅપ થઈ ગયું, ત્યારબાદ અભિષેક શર્માએ તાન્યા સાથે વાત કરવાનું બંધ કરી દીધું.


