- 2016માં સગીરાને સુરેન્દ્રનગરમાં બોલાવી ભગાડી ગયો
- તરણેતરના મેળામાં બન્નેની આંખ મળી ગયા
- સગીરા બહેનપણીના ફોનથી વાત કરતી હતી
લખતર તાલુકાના એક નાના એવા ગામમાં રહેતા પરીવારની સગીર દિકરી તરણેતરના મેળામાં ગઈ હતી. આ સમયે તેને મૂળી તાલુકાના ટીકર ગામે રહેતા ગીરીશ સોલંકી સાથે મુલાકાત થઈ હતી. બન્ને એક જ જ્ઞાતિના હોવાથી પ્રેમ સંબંધ બંધાયો હતો અને સગીરા તેની બહેનપણીના ફોનમાંથી અવારનવાર ગીરીશ પ્રેમજીભાઈ સોલંકી સાથે વાત કરતી હતી. ગત તા. 17-9-2016ના રોજ ગીરીશે ફોન કરી સુરેન્દ્રનગરની પતરાવાળી હોટેલ પાસે બોલાવી હતી અને ત્યાંથી ગીરીશ સગીરાને ભગાડીને લઈ ગયો હતો. જેમાં ટ્રેનમાં અમદાવાદ લઈ જઈ અલગ-અલગ હોટલમાં પત્ની તરીકેની ઓળખ આપી રોકાયા હતા અને સગીરાની મરજી વિરૂધ્ધ તેણીની સાથે ગીરીશ સોલંકીએ દુષ્કર્મ આચર્યુ હતુ.
સગીરાના પરિવારજનોએ પોલીસ કાર્યવાહી કરી હોવાની જાણ થતા ગીરીશે 10 દિવસ પછી સગીરાને તેના ઘરે જતા રહેવાનું કહ્યુ હતુ. જેમાં સગીરા ઘરે પરત આવતા સમગ્ર હકિકત પરિવારજનોને વર્ણવતા ગત તા. 27-9-2016ના રોજ લખતર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ તાજેતરમાં સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી. સભાણીની દલીલો અને બન્ને પક્ષે મૌખીક અને દસ્તાવેજી પુરાવા સાંભળી સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ એ.આર.દેસાઈએ આરોપી ગીરીશ સોલંકીને 10 વર્ષની સજા અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. જો તે દંડ ન ભરે તો વધુ 7 માસની સજાનો પણ હુકમ કરાયો છે. જયારે આ કેસના અન્ય આરોપી વિરમગામના નાની ધોરીમાં રહેતા કમા માવજીભાઈ પરમારને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરાયા છે.


