ઓરેવા કંપનીએ સોગંદનામુ રજુ કરી અદાલતની બિનશરતી માફી માંગવામાં આવી
મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપની દ્વારા કન્ટેમ્પ્ટની નોટીસ સામે બીન શરતી માફી માંગવા માટે સોગંદનામુ રજુ કર્યુ હતું. પરંતુ હાઇકોર્ટે કડક વલણ અખત્યાર કર્યુ છે અને જણાવ્યું હતું કે ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપીઓને શંકાનો લાભ મળી શકે નહી. આ ઘટના બેદરકારીની છે.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપની વિરૂધ્ધ ગુજરાત હાઇકોર્ટ દ્વારા જારી કરાયેલી કન્ટેમ્ટ નોટીસ અનુસંધાનમાં આજે ઓરેવા કંપની તરફથી સોગંદનામુ રજુ કરી અદાલતની બિનશરતી માફી માંગવામાં આવી હતી અને કંપની દ્વારા પીડિતોને લઇ આર્થિક સહાય, રોજગારી સહિતના વિવિધ મુદ્દાઓ પર દરખાસ્ત રજૂ કરાઇ હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધા માયીની ખંડપીઠે ઓરેવા કંપનીની માફીનો સ્વીકાર કર્યો હતો. પરંતુ પીડિતો માટે કંપની દ્વારા કોઇ કંઇ નોંધનીય કામગીરી થઇ નહી હોવાના મુદ્દે હાઇકોર્ટે ઓરેવા કંપનીને આડા હાથે લીધી હતી. હાઇકોર્ટે ટકોર કરી હતી કે મોરબી ઝુલતા પુલની જાહેર મિલ્કત સાથે તમે રમત રમી છે અને તેથી તમને શંકાનો લાભ ના મળે. હાઇકોર્ટે ઓરેવા પાસેથી પીડિતો માટેનો નક્કર પ્રસ્તાવ માંગ્યો હતો.
ઓરેવા કંપની દ્વારા રજુ દરખાસ્ત પ્રસ્તાની ઉણપને લઇને ગંભીર નારાજગી સાથે હાઇકોર્ટે એરોવા કંપનની ટીકા કરતા જણાવ્યું હતું કે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપની મુખ્ય જવાબદાર અને દોષિત છે. જે દોષ ક્ષમાપાત્ર નથી ત્યારે કંપનીએ પીડિતો માટે કંઇક વધારે કરવુ પડે. આ કોઇ સામાન્ય અકસ્માત કે એકટ ઓફ ગોડ નથી પરંતુ તમે બ્રીજને રીપેર કરવાનો કોન્ટ્રાકટ લીધો ત્યારે શ્રેષ્ઠ કામ કરવાની જરૂર હતી. કંપની તેની જવાબદારમાંથી નિષ્ફળ નીવડી છે. તમે જાહેર મિલ્કત સાથે રમત રહી છે. તમને બેનીફિટ ઓફ ડાઉટ (શંકાનો લાભ) મળી શકે તેમ નથી. પીડિતો માટે વધારે કંઇક કરવાની અને તેઓને કંઇક વધુ આપવાની કંપનીની નૈતિક ફરજ બને છે.
હાઇકોર્ટે પીડિતોના પુન: સ્થાપન માટે ઓરેવા કંપનીને નક્કર, સર્વગ્રાહી દરખાસ્ત કે પ્રસ્તાવ સાથે આવવા હુકમ કર્યો હતો. જેથી પડિતો પોતાના જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા સક્ષમ બને અને સન્માનીય રીતે જીવન જીવી શકે. ચીફ જસ્ટિસ ઓરેવા કંપનીને તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટી (સીએસઆર) નિભાવવા ટકોર કરતાં જણાવ્યું હતું કે ઝુલતા પુલ દુર્ઘટના અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિ જોતાં તમારા તરફથી કંઇક વધારે પીડિતો માટે થવું જોઇએ.
ચીફ જસ્ટિસે ઓરેવા કંપનીને વેધક ટકોર કરી શકે કે તમે મોરબીના લોકો પાસેથી કમાઓ છો, ત્યાંથી તમને કર્મચારી મળ્યા છે. તે ના હોત તો તમારી કંપની કેવી રીતે ચાલી શકે..? સમાજના જવાબદાર વ્યકિત હોવા છતાં તમે બેજવાબદાર સાબિત થયા છો અને તેથી અદાલત તમારી પાસેથી નક્કર પ્રસ્તાવ માંગી રહી છે. હાઇકોર્ટે ૧૯ જૂન સુધીમાં નક્કર પ્રસ્તાવ રજૂ કરી દેવા કંપનીને કડક તાકીદ કરી હતી.


