- ગુમ થયેલા બલૂચ વિદ્યાર્થીઓના કેસમાં બીજા સમન્સમાં પણ કાકર ગેરહાજર
- પીએમ કોર્ટમાં હાજર રહેવાને પોતાનું અપમાન ન સામને: ઈસ્લામાબાદ હાઈકોર્ટ
- નવેમ્બર મહિનામાં પણ કોર્ટ સમક્ષ હાજર નહોતા થયા કાર્યકારી પ્રધાનમંત્રી કાકર
ઈસ્લામાબાદ હાઈકોર્ટે સોમવારે ગુમ થયેલા બલૂચ વિદ્યાર્થીઓને લગતા એક કોર્ટ કેસમાં બીજી વખત કોર્ટમાં હાજર ન થવા બદલ પાકિસ્તાનના કાર્યકારી પ્રધાનમંત્રી અનવારુલ હક કાકરને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે પીએમ કાકરને ચેતવણી આપતા કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. હાઈકોર્ટના જજ મોહસીન અખ્તર કયાનીએ સુનાવણી દરમિયાન કહ્યું કે કાર્યકારી વડાપ્રધાને કોર્ટમાં હાજર થવાને અપમાન ન ગણવું જોઈએ.
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, જજ કયાનીએ કહ્યું કે કાર્યકારી પ્રધાનમંત્રીએ આગામી સુનાવણી માટે કરાચી ન જતાં કોર્ટમાં હાજર થવું જોઈએ. તેમણે કહ્યું કે અહીં કોઈ કાયદાથી ઉપર નથી. પ્રધાનમંત્રીને એટલા માટે બોલાવવામાં આવ્યા કે તેઓ જવાબદાર છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી 28 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે અને પીએમ કાકરને ફરીથી સમન્સ પાઠવવામા આવ્યા છે.
નવેમ્બરમાં પણ કોર્ટ સમક્ષ હાજર નહોતા થયા કાકર
પાકિસ્તાનના કાર્યકારી પ્રધાનમંત્રી કાકર બીજી વખત કોર્ટમાં હાજર નથી થયા. ગત વર્ષે નવેમ્બરમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટે સરકારને ગુમ થયેલા બલૂચ વિદ્યાર્થીઓને સાત દિવસમાં શોધી કાઢવા માટે નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જો અધિકારીઓ આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે, તો પ્રધાનમંત્રી કાકરને તેમના પ્રધાનો અને ગૃહ અને સંરક્ષણ સચિવો સાથે 29 નવેમ્બરે કોર્ટમાં હાજર રહેવું પડશે. પરંતુ, કાકર વિદેશ પ્રવાસ પર હોવાથી કોર્ટમાં હાજર થઈ શક્યા નહોતા.
અહેવાલ અનુસાર, પાકિસ્તાન સરકાર વારંવાર કોર્ટને ખાતરી આપે છે કે ગુમ થયેલા વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં જ ઘરે પરત લાવવામાં આવશે. 13 ફેબ્રુઆરીના રોજ સુનાવણી દરમિયાન આશ્વાસન છતાં બલૂચ વિદ્યાર્થીઓને શોધી કાઢવામાં સરકારી અધિકારીઓની નિષ્ફળતા પર કોર્ટે પીએમ કાકર અને તેમના બે કેબિનેટ મંત્રીઓને સમન્સ પાઠવ્યા હતા.
સોમવારે જસ્ટિસ કયાનીએ ગુમ થયેલા વિદ્યાર્થીઓ પર તપાસ પંચની ભલામણોને લાગુ કરવા સંબંધિત અરજી પર ફરીથી સુનાવણી કરી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીને બોલાવવાનો હેતુ એ જાણવાનો હતો કે તેઓ તેમની ફરજોમાં કેમ નિષ્ફળ રહ્યા છે. અહેવાલો અનુસાર, બળજબરીથી ગાયબ કરવામાં આવેલ બલૂચ લોકોને શોધી કાઢવા અને જવાબદાર વ્યક્તિઓ અથવા સંગઠનો પર જવાબદારી નક્કી કરવા માટે 2011માં તપાસ પંચની રચના કરવામાં આવી હતી.
બલૂચ પર દમન આચરવા માટે કુખ્યાત છે પાક સેના
સંસાધનથી સમૃદ્ધ બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે પરંતુ તેની વસ્તી સૌથી ઓછી છે. અલગતાવાદી વિદ્રોહના કારણે અહીં લાંબા સમયથી અશાંતિ છે. અહી, પાકિસ્તાની સેના દ્વારા બલૂચ લોકો પર ક્રૂર દમન અને લોકોને બળજબરીથી ગાયબ કરવાની ઘટનાઓ સામાન્ય છે. ગયા વર્ષે નવેમ્બરમાં પાકિસ્તાન સરકારે સ્વીકાર્યું હતું કે બલૂચિસ્તાનમાં લગભગ 50 લોકો ગુમ થયા છે. ગયા વર્ષે 29 નવેમ્બરે સુનાવણી દરમિયાન પાકિસ્તાનના એટર્ની જનરલ મન્સૂર ઉસ્માન અવાને કોર્ટને માહિતી આપી હતી કે ગુમ થયેલા 50 લોકોમાંથી 22 લોકોએન શોધી કાઢવામાં આવ્યા છે, જ્યારે બાકીના 28 લોકોનો કોઈ પત્તો મળ્યો નથી.


