હવે પુજીત રૂપાણી ટ્રસ્ટનો સઘળો ભાર અંજલીબેનના શિરે
અગ્ર ગુજરાત, રાજકોટ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જયારે તેમનો સૌથી પહેલો પુત્ર પૂજિત અત્યંત નાની વયે ગુમાવ્યો ત્યારે ભારે આઘાતમાં મુકાયા બાદ તેમણે પુત્રને શ્રદ્ધાંજલિ આપવા માટે કચરો વીણતા અને ઝૂંપડપટ્ટીમાં વસવાટ ગરીબ પરિવારના બાળકોનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ લીધો હતો અને એ સંકલ્પ એટલે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ. ત્રીસેક વર્ષ પહેલાં તેમના સસરાના જન્મદિવસ પ્રસંગે રૂપાણી પરિવાર અમદાવાદ ગયો હતો ત્યારે માત્ર બે-અઢી વર્ષની ઉંમરનો પૂજિત ગેલેરીમાં પેન્સિલ વડે રમતો હતો. ગેલેરીમાંથી નીચે પડેલી પેન્સિલ લેવા ગયો એ સાથે તે નીચે પડી ગયો હતો. ગંભીર ઈજાથી માસૂમ બાળકે પ્રાણ ગુમાવ્યા હતા.
વહાલસોયા દીકરાનું કુમળી વયે અવસાન થતાં તેની સ્મૃતિમાં ૧૯૯૪-૯૫ના વર્ષ દરમિયાન વિજયભાઈએ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રોબોધિની પ્રોજેક્ટ હેઠળ ધો.૮થી ૧૨ સુધી અને ત્યાર પછી મેડીકલ અને એન્જીનિઅરિંગમાં એડમિશન મળે ત્યાં સુધી બાળકને દત્તક લઈને અભ્યાસ કરાવવામાં આવે છે. અત્યારે આ પ્રોજેક્ટ હેઠળ ૯૫ બાળકો અભ્યાસ કરે છે. ૨૯૦ બાળકો આ પ્રોજેક્ટ હેઠળ અભ્યાસ કરીને આગળ વધ્યા છે. ઉપરાંત ગરીબ બાળકોને કોમ્પ્યુટર શીખવવા ૨૦૦૮થી પરમદીપ પ્રોજેક્ટ પણ ચલાવાવમાં આવે છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૩૨૫થી વધુ બાળકોને સુશિક્ષિત બનાવીને પગભર બનાવવામાં આવ્યા છે. હવે જયારે સ્વયં વિજયભાઇ રૂપાણી જ આ દુનિયામાં નથી રહ્યા ત્યારે પૂરા ટ્રસ્ટની જવાબદારી અંજલીબેન રૂપાણીના શીરે આવી છે.