- ગરમીની અસર થતાં 41ને સારવાર : 47,163ને ORSનું વિતરણ
- 267 ગાર્ડન, 13 AMTS ડેપો, 164 BRTS બસ સ્ટેન્ડમાં પીવાના પાણીની વ્યવસ્થા
- શહેરમાં આવેલા 75 જેટલા ફુવારા માંથી હાલ 64 જેટલા ફુવારા ચાલુ છે
અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે નાગરિકોને રાહત પૂરી પાડવાની નેમ સાથે AMC દ્વારા હિટ એક્શન પ્લાન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં 11 એપ્રિલથી 21 એપ્રિલ સુધીમાં ગરમીના કારણે પેટમાં દુખાવો, ઝાડા-ઊલટી, માથું દુખવું, ચક્કર આવવા, ભારે તાવ આવવો જેવા કુલ 4468 કેસો નોંધાયા છે. શહેરમાં ગરમીના કારણે સૌથી વધુ પેટમાં દુખાવાના અને ઝાડા-ઊલ્ટીના કેસો સામે આવી રહ્યા છે. 1024 કેસો પેટમાં દુખાવાના અને 915 કેસ બેભાન થવા અને ચકકર આવવાના જ્યારે 653 કેસ ભારે તાવના નોંધાયા છે.
હાલમાં મણિનગર પુષ્પકુંજ ચાર રસ્તા અને શાહઆલમ ચાર રસ્તા પાસે વોટર સ્પ્રિસ્ક્લર લગાવવામાં આવ્યા છે. શહેરના રિંગ રોડ પર વસ્ત્રાલ પાંજરાપોળ ચાર રસ્તા અને અમરાઈવાડી નાગરવેલ હનુમાન ચાર રસ્તા પાસે વોટર સ્પ્રિન્ક્લર લગાવવામાં આવશે. શહેરમાં13 જેટલા AMTS બસ ડેપો અને 164 BRTS બસ સ્ટેન્ડ પર પીવાના પાણી અને ORS રાખવામાં આવ્યા છે. એપ્રિલ મહિનામાં 41 જેટલા લોકોને ગરમીની અસર થતા સારવાર આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 267 જેટલા ગાર્ડનમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં આવેલા 75 જેટલા ફુવારા માંથી હાલ 64 જેટલા ફુવારા ચાલુ છે. AMC દ્વારા 47163 જેટલા ORSના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આગામી 27-28 એપ્રિલના રોજ ગરમીનો પારો 41થી 42 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.


