- ફ્લાઇટમાં બોમ્બ મૂકવાની ધમકી આપનારાની શોધવા માટે કાર્યવાહી
- એક ટિસ્યૂ પેપર પર ચાર વાર મોટા અક્ષરોમાં BOMB IN FLIGHT’ લખાવામાં આવ્યું
- 10 કલાકથી વધુના વિલંબ બાદ ફ્લાઇટને ટેકઓફની પરમિશન આપવામાં આવી હતી
અકાશા એરલાઇન્સની ગત 3 જૂને દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાના મુદ્દે અમદાવાદ એરપોર્ટ પર સવારે 10 વાગેની આસપાસ ઇમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવ્યું હતું. ફ્લાઇટના ટોઇલેટમાં BOMB IN FLIGHT’ લખેલું ટિસ્યૂ પેપર ક્રુ મેમ્બરને મળ્યું હતું. CISF, વિવિધ એજન્સીઓ અને સ્થાનિક પોલીસે ફ્લાઇટના લેન્ડિંગ બાદ ફ્લાઇટની ચેકિંગની સાથે પેસેન્જરોની ચેકિંગ પણ કરી હતી. જોકે તેમાં કશું મળ્યું ન હતું. સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું કે, ફ્લાઇટમાં સવાર 186 પેસેન્જરોમાંથી દરેક પેસેન્જરને કુલ 9 ટિસ્યૂ પેપર આપીને 36 વાર મળેલ લખાણ દેખાડીને ટિસ્યૂ પેપર પર લખાવામાં આવ્યું હતું. એક ટિસ્યૂ પેપર પર ચાર વાર મોટા અક્ષરોમાં BOMB IN FLIGHT’ લખાવામાં આવ્યું હતું. હાલ હેન્ડરાઇટીંગ એકસ્પર્ટોની મદદથી તપાસ કરવામાં આવી રહી છે.
દિલ્હીથી મુંબઈ જઇ રહેલા અકાશા એરનું બોઈંગ 737 MAX ફ્લાઇટ નંબર QP1719માં બોમ્બ હોવાનું ટીશ્યુ પેપરમાં લખાણ ટોઇલેટમાંથી મળતાં ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરાઇ હતી. ટોઇલેટમાં ટિસ્યૂ પેપરમાં બોમ્બ ઇન ફ્લાઇટ લખેલું જોવા મળતાં પેસેન્જરે ક્રુને આ અંગે જાણ કરી હતી. જોકે આ અંગે ક્રુ મેમ્બરે કેપ્ટનને જાણ કરી હતી. લગભગ અડધી મુસાફરી કવર કર્યા પછી, સુરક્ષાના સવાલો ઉભા થતાં અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા પાયલોટોએ વિમાનને અમદાવાદ એરપોર્ટ તરફ્ ડાયવર્ટ કરાઇ હતી. જોકે 10 કલાકથી વધુના વિલંબ બાદ ફ્લાઇટને ટેકઓફની પરમિશન આપવામાં આવી હતી. જોકે ત્રણ પરિવારોની મુંબઇથી કેરાલાની ક્રુઝ બુકિંગ કરાવ્યું હતું જોકે ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાને પગલે ડાયવર્ટ કરાતાં તેઓને આ પ્લાન રદ કરવો પડયો હોવાનું પણ જાણવા મળ્યું છે.


