- ડીવાઈન લાઈફ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આગ લાગતાં મચી અફરાતફરી
- 1500થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને સલામત સ્થળે ખસેડાયા
- શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
અમદાવાદમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. શહેરના નારોલ વિસ્તારની શાળામાં આગ લાગી છે. નારોલમાં આવેલી ડીવાઈન લાઈફ ઈન્ટરનેશનલ સ્કુલમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી અને 1500થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને સુરક્ષાના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદમાં શહેરમાં છેલ્લા 1 અઠવાડિયામાં આગની આ બીજી ઘટના બની છે. સ્કૂલમાં આગની ઘટના બનતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે આવીને આગને કાબૂમાં લીધી. જો કે સારી વાત એ છે કે આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ત્યારે શોર્ટ સર્કિટના કારણે શાળામાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
3 દિવસ પહેલા નિકોલમાં આગ લાગતા બેના થયા હતા મોત
નિકોલના અરીહંત એસ્ટેટમાં 3 દિવસ પહેલા આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં બે કામદારોના મોત થયા હતા. ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી. ત્યારે પ્રાથમિક રીતે બોઈલર ફાટતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું.
7 માર્ચ 2024ના રોજ લાગેલી આગમાં એક બાળકનું મોત
દાણીલીમડામાં આવેલા પટેલ વાસમાં આવેલા ખ્વાજા ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે બાળકો સહિત નવ જેટલા લોકોને અસર થઈ હોવાના સમાચાર મળી રહ્યા હતી. આ ગોઝારી આગમાં એક નાનકડા બાળકનું મોત નિપજ્યુ હોવાની માહિતી મળી હતી. જોકે, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો.અસરગ્રસ્ત લોકોને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


