- અધિકારીઓ સાથેની સાઠગાંઠથી પરમિશન વગરના બિલ્ડિંગ ધમધમે છે
- એસ્ટેટ વિભાગની અધિકારીઓની બેદરકારી, કમ્પ્યૂટરમાં કોઈ ડેટા રાખતા જ નથી
- 15 દિવસમાં પરમિશન ન લેનાર બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવાની ઔડાની ચીમકી
રાજકોટની ઘટના પછી ઔડાના અધિકારીઓ હવે જાગ્યા છે અને બીયુ તેમજ ફાયર NOC લીધી ન હોય તો 15 દિવસમાં લઇ લેવા માટે ડેવલપર્સ, વેપારીઓ સહિત વિવિધ એકમોને અપીલ કરી છે.સૂત્રો કહ્યું કે, અધિકારીઓ સાથેની સાઠગાંઠના લીધે પરમિશન વગરના ધમધમતા બિલ્ડિંગો અને એકમો સામે ફરિયાદ કરવા છતાં પગલાં ભરાતાં ન હતાં.
એસ્ટેટ વિભાગના અધિકારીઓ આ અંગેની આંકડાકીય માહિતી કમ્પ્યુટરમાં રાખતા જ નથી. જ્યારે ઉચ્ચઅધિકારીઓ કહે ત્યારે માહિતી એકઠી કરવાના બહાને દિવસો પસાર કરીને વાત ટાળવા પ્રયાસ કરતા હતા. હવે કાર્યકારી સીઇઓએ વિગતો માગતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા છે. 15 દિવસમાં પરમિશન ન લેનાર બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવાની ઔડાએ ચીમકી ઉચ્ચારી છે.
શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના એસ્ટેટ વિભાગ પાસે કેટલા બિલ્ડિંગોમાં બીયુ પરમિશન છે કે નહીં ? કેટલા બિલ્ડિંગોમાં ફાયર NOC છે કે, નહીં ? તેની કોઇ માહિતી નહીં હોવાનું ખુદ ઉચ્ચ અધિકારીઓ જ રટણ કરતાં હતાં. અત્યાર સુધી એસ્ટેટ વિભાગ નામ પૂરતી જ કાર્યવાહી કરતું હતું. ઉચ્ચઅધિકારીઓ પણ રસ લેતા ન હતાં. રાજકટોની ઘટના પછી દોડાદોડ કરવા લાગ્યા હતાં. જેમાં કેટલીક સ્ફોટક માહિતી મુજબ મોટાભાગના બિલ્ડિંગમાં ફાયર NOC જ ન હતી. કેટલાય બિલ્ડિંગોમાં બીયુ પરમિશન નહતી. આ માહિતી જાહેર કરવાના બદલે અધિકારીઓએ વચેટિયાઓ દ્વારા મેસેજ કરાવીને ત્વરિત પરમિશન મેળવી જાણ કરી દીધી હતી.
બીજી તરફ નવા સીઇઓએ માહિતી માગતા ઔડાના અધિકારીઓ દોડાદોડ કરવા લાગ્યા છે. અધિકારીઓની પોલ ખુલી જાય નહીં એટલે જે પરમીશન માટે મહિનાઓમાં થતી કામગીરી કરીને સામે ચાલીને પરમીશન ઇસ્યુ કરાઇ રહી છે. સીઇઓ દ્વારા તપાસ કરાય તો અધિકારીઓની પોલ ખુલી જવાની પૂરી શક્યતા છે. બીજીબાજુ નવા રોડ, ડ્રેનેજ, જળ સે નળ, EWS અને બ્રિજના કામની નવા સીઇઓ સમીક્ષા કરવાના હોવાથી અધિકારીઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગઇ છે. કોન્ટ્રાક્ટર સાથે સાઠગાંઠ ધરાવતા કેટલાક નિવૃત્ત અધિકારીઓ કામ વગર પગાર લેતા હોવાની બાબત પણ ધ્યાનમાં આવી છે.


