- માનવ અધિકાર આયોગમાં સોગંદનામું કરીને ક્યાં ક્યાં કરોડોનો ખર્ચ કર્યો તે બતાવી ખાત્રી આપેલી
- મુખ્ય સચિવના નિર્દેશથી શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવે સોગંદનામું કરેલું, આયોગે સંતોષ વ્યક્ત કરેલો
- ફાયર સર્વિસિઝને મજબૂત બનાવવા રૂ. 96 કરોડ ખર્ચ્યા
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોચિંગ ક્લાસમાં નવમી ડિસેમ્બર, 2019ના દિવસે આગ લાગી અને 32 વિદ્યાર્થીઓના કરૂણ મૃત્યુ થયેલા તેના પગલે રાજ્યના માનવ અધિકાર આયોગે મુખ્ય સચિવને નોટિસ પાઠવી હવે પછી આ પ્રકારની માનવ-સર્જિત દુર્ઘટનાઓ ન સર્જાય તે માટે કેવા અને કયા પગલાં ભરવા માંગો છો તેનો ખુલાસો મંગાવેલો. મુખ્ય સચિવના નિર્દેશથી શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવે એક સોગંદનામું કરી આયોગને એવી ખાત્રી આપેલી કે રાજ્યભરમાં ફાયર પ્રિવેન્શન અને સંલગ્ન પાસાંમાં રૂ. 129 કરોડ કરતાં પણ વધુ રકમ ખર્ચી હોવાથી હવે પછી રાજ્યમાં ક્યાંય આગનો ભડકો પણ નહીં થાય. માનવ અધિકાર આયોગે પણ આ જવાબ વાંચી એકદમ સંતોષ વ્યક્ત કરી મામલા પર પૂર્ણવિરામ મુકી દીધું હતું.
પરંતુ 25મી મે, 2024ના દિવસે રાજકોટમાં TRP ગેમિંગ ઝોનમાં જે વિકરાળ આગ લાગી તેમાં બાળકો સહિત 30ના એવા કરૂણ મોત થયા છે કે તેમની ઓળખ માટે પણ FSL પરીક્ષણ કરવા પડયા હતા. આ ઘટના માટે જવાબદાર કોણ તેના કારણો શોધવામાં જે એક પછી એક પડળો ખુલતા જાય છે તેમાં સ્થાનિક ફાયર વિભાગ જ અગ્નિશમન માટે અત્યંત વિલંબથી પહોંચ્યો હોવાની વાતથી તમામ સત્તાવાળાઓના આંખ આડા કાન અને સલામતીની ખાતરીના નામે મીંડુ હોવાના પરિબળો જવાબદાર હોવાનું ખુલતું જાય છે. તો સવાલ એ થાય કે, ચાર વર્ષ પહેલાં જ ફાયર વિભાગના 32 ડિવિઝન અને 130 મહાનગર-નગર પાલિકાઓમાં અગ્નિશમન અને અગ્નિ-પ્રતિરોધક (પ્રિવેન્શન) માટે રૂ. 128.81 કરોડ વાપર્યા હોવાનો જે સરકારે દાવો કરેલો તેમ છતાં આવી વિભીષિકા ઘટી કેવી રીતે? અને તેમાં આટલી મોટી સંખ્યામાં જાનહાનિ કેમ નિવારી ન શકાઈ?
ફાયર સર્વિસિઝને મજબૂત બનાવવા રૂ. 96 કરોડ ખર્ચ્યા
સંયુક્ત સચિવે કરેલા સોગંદનામા અનુસાર, તક્ષશીલા દુર્ઘટના પછીના જ વર્ષે સરકારે રૂ. 96.24 કરોડ તો રાજ્યના 32 ફાયર ડિવિઝન અને 130 નગરપાલિકાઓમાં ફાયર સેફ્ટી સેવાઓ અને માળખું સુદ્રઢ બનાવવા ખર્ચ કર્યો હતો.
ફાયર વિભાગની નવી 672 પોસ્ટ માટે રૂ. 23 કરોડ
રાજ્ય સરકારે તમામ 130 નગરપાલિકાઓ-મહાનગરપાલિકામાં ફાયર વિભાગની નવી 672 પોસ્ટ માટે 100 ટકા પગાર અને ભથ્થાં ચૂકવવા રૂ. 23 કરોડથી વધુની રકમ ફાળવવાની બાંહેધરી આપી હતી.
સરકાર વાતો કરે છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેતી નથી :એનજીઓ
ફાયર સેફટી મુદ્દે સરકાર દ્વારા એનએચઆરસી અને ગુજરાત હાઈકોર્ટમાં લેખિતમાં જણાવ્યુ હતુ કે, ફાયર સેફટી માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આમ છતા આગની ઘટનાઓ સતત બની રહી હોવાનું એનજીઓ સાથે સંકળાયેલા કિરીટી રાઠોડએ જણાવ્યુ છે. ખરેખર સરકાર તપાસપંચ નિમે છે પરંતુ તપાસપંચ દ્વારા કરવામાં આવતી ભલામણોનો કોઈ અમલ જ કરતી નથી.


