12 જૂન, 2025 ના રોજ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જતું એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન (AI171) ટેકઓફ થયાના થોડીવાર પછી મેઘાણી નગર નજીકના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું.
આ ભયાનક અકસ્માતમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યોએ જીવ ગુમાવ્યા, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. પંજાબ ભાજપ પ્રમુખ સુનીલ જાખડે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
સોશિયલ મીડિયા પર સુનીલ જાખડે લખી ઈમોશનલ પોસ્ટ
સુનીલ જાખડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ‘આજે અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનમાં વિજય રૂપાણી સવાર હતા તે જાણીને ખૂબ જ દુઃખ થયું અને હૃદયદ્રાવક લાગ્યું.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેઓ એક નમ્ર અને દયાળુ વ્યક્તિ અને સારા નેતા હતા. પંજાબ ભાજપનો હવાલો સંભાળતા મને તેમની સાથે કામ કરવાનો લહાવો મળ્યો. તેઓ એક સાચા ‘જેન્ટલમેન પોલિટિશિયન’ હતા. આ દુર્ઘટનામાં ગુજરાતે માત્ર એક મહાન નેતા ગુમાવ્યા નથી, પરંતુ તે મારા માટે વ્યક્તિગત નુકસાન પણ છે કારણ કે તેમનો સૌમ્ય અને કોમળ સ્વભાવ મને ખૂબ પ્રિય હતો. જાહેર જીવનમાં તેમની શાણપણ અને સરળતા હંમેશા યાદ રહેશે. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ.
આવી હતી વિજય રૂપાણીની રાજકીય સફર
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956 ના રોજ રંગૂન (મ્યાનમાર) માં થયો હતો, તેમનું 68 વર્ષની વયે અવસાન થયું. તેમને રાજકોટથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી, જ્યાં તેઓ 1996-1997 દરમિયાન મેયર હતા. તેઓ 2006-2012 સુધી રાજ્યસભાના સાંસદ હતા અને ગુજરાત સરકારમાં પરિવહન, શ્રમ અને પાણી પુરવઠા જેવા મંત્રાલયો સંભાળ્યા હતા.
7 ઓગસ્ટ 2016 થી સપ્ટેમ્બર 2021 સુધી તેઓ ગુજરાતના 16મા મુખ્યમંત્રી હતા. 2022 થી તેઓ પંજાબ અને ચંદીગઢ ભાજપનો હવાલો સંભાળતા હતા, જ્યાં તેમને 2024 ની લોકસભા ચૂંટણી અને લુધિયાણા પશ્ચિમ પેટાચૂંટણીમાં એક્ટિવ ભૂમિકા ભજવી હતી. તેમની સાદગી અને પાયાના સ્તરની કાર્યશૈલીએ તેમને બધામાં લોકપ્રિય બનાવ્યા.