અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI) પર વિમાન સંચાલનને વધુ કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી નો ટેક્સી-વે (No Taxi-Way)ની લંબાઈમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. એરપોર્ટની ક્ષમતા વધારવા માટે આ એક મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અગાઉના ટેક્સી-વેની લંબાઈમાં 1,126 મીટરનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે તેની કુલ લંબાઈ હવે 3,011 મીટર થઈ ગઈ છે. આ વિસ્તરણ પાછળનો મુખ્ય હેતુ ટેક્સી-વેથી ફ્લાઇટ્સની અવરજવરને વધુ સરળ બનાવવાનો છે.
કાર્યક્ષમતામાં વધારો અને લાભ
આ વિસ્તૃત ટેક્સી-વેના કારણે, ફ્લાઇટના ટેક-ઓફ અને લેન્ડિંગ માટે મુખ્ય રન-વે લાંબા સમય સુધી રોકાયેલો નહીં રહે. રન-વેનું ભારણ ઘટતાં એરપોર્ટની સંચાલન ક્ષમતામાં મોટો વધારો થયો છે. હવે અમદાવાદ એરપોર્ટ પર પ્રતિ કલાક 28 વિમાનોનું સંચાલન કરવું શક્ય બનશે. સામાન્ય રીતે, ફ્લાઇટને ટેક-ઓફ માટે રાહ જોવી પડે ત્યારે તેને ટેક્સી-વે પર પાર્ક કરવામાં આવે છે. લંબાઈ વધારવાથી વેઇટિંગનો સમય ઘટશે અને ટ્રાફિક વ્યવસ્થાપન સુધરશે. આ ઉપરાંત, વિમાનોને લાંબુ અંતર કાપવું ન પડવાથી લગભગ 30 ટકા જેટલા ઇંધણની બચત થશે, જે પર્યાવરણ અને એરલાઇન્સ બંને માટે લાભદાયી છે. જોકે, એ નોંધવું જરૂરી છે કે આ નો ટેક્સી-વે વિસ્તૃત થવા છતાં, મોટા કદના વિમાનોનું સંચાલન હજુ પણ મુખ્ય રન-વે પરથી જ થશે.
આ પણ વાંચો : Junagadh News : સાસણના નર્સરી વિભાગમાં દીપડાનો હુમલો, મજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત, સિવીલ ખસેડાયો


