- નાગરિક વિરુદ્ધમાં સામાન્ય FIR થાય તો પોલીસ આકાશ પાતાળ એક કરીને શોધી લે
- દુષ્પ્રેરણાના કેસમાં PI ખાચર, વસ્ત્રાપુર રાયોટિંગ વિથ મર્ડર કેસમાં PI ભરવાડ વોન્ટેડ
- મહિલા તબિબે પ્રેમી પીઆઇ બી.કે.ખાચરના કારણે ઇન્જેક્શન મારીને આપઘાત કર્યો હતો
નાગરિક વિરુદ્ધ કોઇપણ ગુનો નોંધાય અથવા તો અરજી પણ થાય તો જાંબાઝ અમદાવાદ શહેર પોલીસ આકાશ પાતાળ એક કરીને શોધી લેતી હોય છે પરંતુ તેમના બે પોલીસ ઇન્સ્પેક્ટરો પૈકી દુષ્પ્રેરણાના કેસમાં પીઆઇ ખાચર, વસ્ત્રાપુરમાં રાયોટિંગ વીથ મર્ડર કેસમાં પીઆઇ ભરવાડ વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયા છે છતાં હજુ સુધી પોલીસ અધિકારીઓ બન્ને આરોપીઓને શોધી શક્યા નથી કે પછી પકડવા માંગતા નથી તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે.
ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં મહિલા તબિબે પ્રેમી પીઆઇ બી.કે.ખાચરના કારણે ઇન્જેક્શન મારીને આપઘાત કર્યો હતો. જેના પગલે ચાર દિવસ પછી પીઆઇ ખાચર વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ સ્થાનિક પોલીસે ચૂંટણી તેમજ આઇપીએલનો બંદોબસ્ત છે અને આરોપીના ઘરે, વતનમાં તપાસ કરી પરંતુ પીઆઇ ખાચર મળી આવ્યા નથી તેવુ રટણ કરતા હતા. આથી ઉચ્ચ અધિકારી દ્વારા તાત્કાલિક તપાસ સ્થાનિક પોલીસ પાસેથી આચંકીને એસીપીને સોંપવામાં આવી હતી. બીજી તરફ, પીઆઇ ખાચરે હાઇકોર્ટે આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી પરંતુ કોર્ટે જામીન આપ્યા ન હતા. એસીપીએ જણાવ્યુ કે, અમારી તપાસ ચાલુ છે.
વસ્ત્રાપુરમાં મંદીરના પાટોત્સવની પત્રિકા લખવામાં એક સમાજના બે જૂથ વચ્ચે ઝઘડો થાય બાદ પથ્થરમારો થતાં એક મહિલાનું મોત નિપજ્યુ હતુ. આ કેસમાં ગાંધીનગર ટ્રાફિકના પીઆઇ જી.કે.ભરવાડ સહિત ટોળા સામે રાયોટિંગ વીથ હત્યાની ફરિયાદ નોંધાઇ હતી. જેના પગલે વસ્ત્રાપુર પોલીસે પીઆઇ ભરવાડના ઘરે, ઓફિસમાં તપાસ કરી હતી પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. આ અંગે વસ્ત્રાપુર પીઆઇએ જણાવ્યુ કે, પીઆઇ સહિત તેમના પરિવારજનોના CDR તપાસ્યા છે અને બે ટીમ દ્વારા તેમની શોધખોળ ચાલી રહી છે.


