બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં અમદાવાદના પાલડી ચાર રસ્તા પાસે બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ દરમિયાન કાર્યકરોએ પુતળા દહન કરી મૃતક યુવાનને ન્યાય આપવાની માગ ઉઠાવી હતી.
બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે
બજરંગ દળના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે, છતાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ આંખ આડા કાન કરી રહ્યું છે. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ નારેબાજી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ન્યાય નહીં મળે ત્યાં સુધી બજરંગ દળ દ્વારા વિરોધ ચાલુ
આ પ્રસંગે બજરંગ દળના સહ સંયોજક હિરેન રબારીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર અત્યાચાર થઇ રહ્યો છે. મૃતક યુવાનને ન્યાય નહીં મળે ત્યાં સુધી બજરંગ દળ દ્વારા વિરોધ ચાલુ રાખવામાં આવશે.”
ભારતમાં પણ બાંગ્લાદેશી નાગરિકો રહે છે
બજરંગ દળે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં પણ બાંગ્લાદેશી નાગરિકો રહે છે અને સરકાર તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આ મુદ્દે ગંભીરતા દાખવવી જોઈએ.


