- કચ્છમાં ગૌચરની જમીન અદાણી SEZને પધરાવાતા ચીફ જસ્ટિસે ઝાટકણી કાઢી
- તમે ગુજરાત સરકારના વકીલ છો, તમે અદાણીની વકીલાત ન કરો : સરકારને ખખડાવી
- નવી નાળ ગામની 107 હેકટર ગૌચરની જગ્યા પુનઃ યથાવત્ સ્થિતિમાં લાવી દેવા સૂચન
કચ્છના મુંદ્રા તાલુકાના નવી નાળ ગામની ગૌચરની કિંમતી જમીન ગુજરાત સરકાર દ્વારા અદાણી જૂથને સેઝ(એસઇઝેડ) માટે આપવાના વિવાદમાં છે.
હવે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં આજે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સરકાર અને કચ્છ કલેકટરના નિર્ણયને લઇ ભારે આશ્ચર્ય વ્યકત કર્યું હતું .અને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કે, તમે ગામની ગૌચરની જમીન કેવી રીતે અન્ય હેતુ માટે આપી શકો? ગૌચરની જમીન આપો તો પણ સામે વૈકલ્પિક ગૌચરની જમીન ઉપલબ્ધ કરાવવી જોઇએ. એક તબક્કે તો ચીફ જસ્ટિસે એડિશનલ એડ્વોકેટ જનરલને પણ એવી ગંભીર ટકોર કરી હતી કે, ‘તમે ગુજરાત સરકારના પ્રતિનિધિ છો, તમે અદાણીની વકીલાત ના કરો.
નવી નાળનું 107 હેક્ટર ગૌચર પુનઃ યથાવત્ સ્થિતિમાં લાવી દો : HC
હાઇકોર્ટે સરકાર અને કચ્છ કલેકટરના વિવાદીત નિર્ણયને લઇ ગંભીર નારાજગી વ્યકત કરી નવી નાળ ગામની 107 હેકટર ગૌચરની જગ્યા પુનઃ યથાવત્ સ્થિતિમાં લાવી દેવા એડિશનલ એડવોકેટ જનરલને સૂચન અને ટકોર કરી હતી. એટલું જ નહી, હાઇકોર્ટે સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાંને પણ સ્વીકારવાનો સાફ્ ઇન્કાર કરી દીધો હતો અને સુણાવ્યું હતું કે, અમારે તમારું એશ્યોરન્સ(ખાતરી) નહી પરંતુ એકશન(પગલાં) જોઇએ છે.


