- કંકોત્રી વહેંચવા નીકળેલા યુવક પર તલવાર, પાઈપોથી હુમલો
- સમાજમાં દાખલો બેસાડવા કડક સજા ફટકારવી જરૂરી : કોર્ટ
- હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાહીલ ઉર્ફે શાનું નાગોરીનું 11 દિવસ બાદ મૃત્યુ નિપજયુ હતુ
શાહપુરમાં લગ્નની કંકોત્રી વહેંચવા માટે નીકળેલા યુવકની ઉપર તલવારો અને પાઈપોથી હુમલો કરીને મોત નિપજાવાના મામલે પકડાયેલા પાંચ આરોપીઓને એડીશનલ સેશન્સ જજે ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી છે.સજા પામેલા આરોપીઓમાં જુનેદહુસેન અનવરહુસેન નાગોરી, મોહમદઈકરામ હારૂન રસીદ નાગોરી, ઈલીયાસહુસેન જાકીરહુસેન નાગોરી, અવેશ હુસેન ઝાકીર હુસેન નાગોરી, જાકીરહુસેન મહંમદહુસેન નાગોરી અને મોહંમદ ઈમરાન હારૂન રશીદ ઉર્ફે અલ્લારખા નાગોરીનો સમાવેશ થાય છે.
કોર્ટએ નોંધ્યુ હતુ કે, આરોપીઓ સામે ગુનો પુરવાર થયો છે. જાહેર રસ્તા ઉપર તલવારો અને પાઈપોથી મારીને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. આવા ગુનાને હળવાશથી લઈ શકાય નહીં. પ્રસ્તુત કેસ રેર ઓફ ધી રેરમાં પડતો ન હોય આરોપીઓને કેપિટલ પનીશમેન્ટ ન કરતા કાયદામાં ઠરાવ્યા મુજબની સજા કરવી ન્યાયચિત્ત જણાય છે. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને કડકમાં કડકમાં સજા ફટકારાવી જરૂરી છે.
આ કેસની વિગત એવી છે કે, સાહીલ ઉર્ફે શાનું નાગોરી કંકોત્રી વહેંચવા માટે ગતતા. 29- 9-2016ના રોજ નીકળ્યો હતો ત્યારે શાહપુર હજામવાડાના નાકા આગળ જુનેદહુસેન નાગોરી, મોહમદઈકરામ નાગોરી, ઈલીયાસહુસેન નાગોરી, અવેશ હુસેન નાગોરી, જાકીરહુસેન નાગોરી અને મોહંમદ ઈમરાન હારૂન રશીદ ઉર્ફે અલ્લારખા નાગોરીએ રોકી તલવારો તથા પાઈપોથી હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બીજી તરફ સાહિલ ઉર્ફે શાનું નાગોરીના પરિવારને જાણ થતા તેઓ તુરત આવીને વીએસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.જયા સાહીલ ઉર્ફે શાનું નાગોરીનું 11 દિવસ બાદ મૃત્યુ નિપજયુ હતુ. શાહપુર પોલીસે છ આરોપી સામે હત્યા, હત્યાનો પ્રયાસ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. જે કેસ ચાલતા સરકારી વકીલ નવીન બી.ચૌહાણએ 31 સાક્ષીઓ અને 37 દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીઓએ મરણજનારને સામાન્ય બાબતમાં પુરતી તૈયારી અને પ્લાનીંગ સાથે આવી ,ઝઘડો કરી ગેરકાયદેસર મંડલી રચીને તલવારો અને લોખંડના પાઈપોથી સાહિલ ઉર્ફે શાનું પર હુમલો કરીને મોત નિપજાવ્યુ હતુ, આરોપીઓ સામે ગુનો પુરવો થતો હોય તે ધ્યાને લેતાં તે રેર ઓફ ધી રેરમાં પડતો હોય સમાજમાં દાખલો બેસાડવા માટે ફાંસીની સજા ફટકારવી જોઈએ.


