- 1,300 વર્ષ જૂની પરંપરાનો અંત લાવી જાતિ આધારિત અવરોધો દૂર કરવાનો હેતુ
- દેશમાંથી 8 હજારથી વધુ સનાતન સમર્થકો અને હોદ્દેદારો પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા
- સંતો અને મંહતો દ્વારા ચારેય સંતો પર જળ,દૂધ, પંચામૃત અને મધનો અભિષેક કરાયો
શહેરના સાયન્સ સિટી રોડ ખાતે અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી. 1,300 વર્ષ જૂની પરંપરાનો અંત લાવીને સંત સમાજના ઇતિહાસમાં આ સૌપ્રથમવાર બન્યુ છે. રાજ્ય સહિત દેશના સંતો-મંહતોની હાજરીમાં રાજ્યના ભાવનગરના બે, રાજકોટ અને સુરેન્દ્રનગરના એક-એક આમ કુલ 4 સંતોને પૂજાવિધિ, મંત્રોચ્ચાર અને અભિષેક કરીને મહામંડલેશ્વરની પદવી અપાઈ હતી. સંતો અને મંહતો દ્વારા ચારેય સંતો પર જળ,દૂધ, પંચામૃત અને મધનો અભિષેક કરાયો હતો. પ્રાચીન પરંપરાને પડકારી, સર્વસમાવેશકતા દ્વારા બધાને એકિકૃત કરી સમાજને ઉજ્જવળ ભવિષ્ય તરફ્ લઈ જતી આ પહેલનો હેતુ જાતિ આધારિત અવરોધોને દૂર કરી સમાનતાને પ્રોત્સાહન આપવાનો હોવાનું અખાડા પરિષદ દ્વારા જણાવાયું હતું. આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકારના મુખ્ય વ્યૂહરચનાકાર રાજેશ શુક્લાની આગેવાનીમાં કરાયું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતીય સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાય તરફની સીમાચિહનરૂપ પહેલ તરીકે ‘સમતા મૂળક સમાજ કી સ્થાપના પ્રોજેક્ટ’ વર્ષો જૂની પરંપરાઓમાં પરિવર્તન લાવવા માટેનું મહત્ત્વપુર્ણ પગલું આજે ભરાયું છે. 1,300 વર્ષ જૂની પરંપરાઓ સમાપ્ત કરીને નવી પરંપરા શરૂ કરી છે. દરેક સંત-મહંતનો સાથ સહકાર મળ્યો છે. આજથી ચારેય સંત સનાતની બની કોઈપણ ભેદભાવ વગર તમામ લોકોની સાથે રહેશે. અખાડાના જે પણ નિયમો હશે તેનુંં પાલન કરશે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવીન્દ્રપુરી મહારાજ અને અખિલ ભારતીય અખાડા પરિષદ અને જૂના અખાડા આંતરરાષ્ટ્રીય વાલીના જનરલ સેક્રેટરી મહંત હરિગિરિ મહારાજ, સ્વામિનારાયણના મહંત પુરુષોત્તમદાસ મહારાજ, મહામંડલેશ્વર વિશ્વેશ્વરીમાતા, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સહિતના સંતોની હાજરીમાં તેમને મહામંડલેશ્વરની પદવી અપાઈ હતી.


