- ચાલીસ વર્ષ પછી અચાનક બહેનને ખબર પડી, અત્યારે તેઓ 81 વર્ષના છે
- વડીલોપાર્જિત મિલકતના હકમાંથી બહેનને વંચિત રાખવાની ફરિયાદ યથાવત્
- આ કેસ ફરિયાદી અને અરજદાર વચ્ચે પૈતૃક મિલકત અંગેના વિવાદની આસપાસ કેન્દ્રિત
વડીલોપાર્જિત મિલ્કત પચાવવા બહેનની ખોટી સહી કરવાના પ્રકરણમાં આરોપી ભાઇની કવોશીંગ પિટિશન હાઇકોર્ટે ફ્ગાવી દેતા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ દિવ્યેશ એ.જોશીએ જણાવ્યું હતું કે, હું પક્ષકારો વચ્ચે ચાલી રહેલી સિવિલ કાર્યવાહીથી વાકેફ્ છું અને એ હકીકત પણ છે કે અરજદાર લગભગ 81 વર્ષની વયના વરિષ્ઠ નાગરિક છે.
તો એ પણ હકીકત છે કે એક અસહાય પુત્રી, તેના પિતાના મૃત્યુ પછી, તેની પૈતૃક સંપત્તિ પરના તેના કાયદેસરના હક માટે લડી રહી છે, તેના પોતાના ભાઈ દ્વારા કેટલીક ખોટી અને બનાવટી સહીઓ કરીને પોતાની આ બહેનને જ વડીલોપાર્જિત મિલ્કતના હક્કમાંથી વંચિત કરાઈ હોવાનો આરોપ છે. હાઇકોર્ટે નોધ્યુ હતુ કે, આ કેસ ફરિયાદી અને અરજદાર વચ્ચે પૈતૃક મિલકત અંગેના વિવાદની આસપાસ કેન્દ્રિત છે, જેઓ ભાઈ-બહેન છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે, અરજદારે મહેસૂલ સત્તાવાળાઓ સમક્ષ તેમના ભાઈ-બહેનોની નકલી સહીઓ બનાવી, ખોટો દાવો કર્યો કે તેઓએ 1975 પહેલાં તેમના અધિકારો છોડી દીધા હતા. આનાથી અરજદારને રેકોર્ડ પર એકમાત્ર માલિક બનવાની અને નવેમ્બર 2013માં ત્રીજા પક્ષકારને મિલકત વેચવાની મંજૂરી આપવામાં આવી હતી.
અરજદાર ભાઇ તરફ્થી તેની બહેન દ્વારા પ્રસ્તુત કેસમાં 40-50 વર્ષોના વિલંબ બાદ ફરિયાદ નોંધાવાઇ હોવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. જેની સામે મોટી બહેને અદાલતને જણાવ્યું હતું કે, તેણીને વર્ષ 2013માં આ સમગ્ર છેતરપીંડી વિશે જાણ થઇ હતી અને તેને જાણ થતાં તરત જ તેણે મહેસૂલ સત્તાધિકારીઓ પાસેથી સંબંધિત દસ્તાવેજો મેળવ્યા હતા અને બાદમાં તેને એફ્એસએલમાં મોકલ્યા હતા. નિષ્ણાતોનો અભિપ્રાય મેળવ્યા બાદ તેણે ફરિયાદ દાખલ કરી હતી.
સિવિલ કાર્યવાહીની માત્ર પેન્ડન્સીથી ફોજદારી કાર્યવાહી પર કોઈ અસર થતી નથી : HC
જસ્ટિસ ડી.એ.જોશીએ સિવિલ અને ફોજદારી કાર્યવાહીની સ્વતંત્રતા પર ભાર મૂકતાં ગંભીર અવલોકન કર્યું હતું કે, સિવિલ કાર્યવાહીની માત્ર પેન્ડન્સીથી ફોજદારી કાર્યવાહી પર કોઈ અસર થતી નથી કારણ કે બંને સંપૂર્ણપણે અલગ અને અલગ પ્રકારની કાર્યવાહી છે જે એકસાથે અલગ કોર્ટમાં ચલાવવા માટે છે અને, તેથી, બંને કાર્યવાહી એકસાથે ચાલી શકે છે, પછી ભલે ગમે તે પરિણામ આવે. આમ, ફરિયાદમાં લાગેલા આક્ષેપો તેમજ રેકોર્ડમાંથી એકત્ર કરાયેલા તથ્યોને ધ્યાનમાં લેતા, હું માનું છું કે તપાસ આગળ વધવી જોઈએ જેથી સાચી અને સાચી હકીકતો રેકોર્ડ પર લાવી શકાય.


