રખડતા શ્વાનના કારણે અમદાવાદના બાવળામાં માસૂમ બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. જો કે, ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકો ઉપર શ્વાનના હુમલાની ઘટનાથી સમગ્ર પંથકમાં ડરનો માહોલ છવાયો છે, જ્યારે બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે.
રાજ્યમાં એકવાર ફરી રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો બાવળા તાલુકાના રૂપાલ ગામમાં 8 વર્ષની બાળકી ઉપર શ્વાનોએ હુમલો કર્યો હતો. 5 જેટલા શ્વાને બાળકી પર હુમલો કરતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. રખડતા શ્વાનોએ બાળકીના પીઠ, હાથ સહિતના વિવિધ ભાગોમાં બચકા ભરતા ઇજાગ્રસ્ત હાલતમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાઇ છે. આ હુમલામાં બાળકીના શરીર પર શ્વાનના અનેક બચકાઓના નિશાન પણ જોવા મળી રહ્યાં છે. ત્યારે બાળકીનું શરીર જોઈને જ કણસી ઉઠીએ તેવો શ્વાનઓ હુમલો કર્યો હતો.