- પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના કોંગ્રેસ પર આકરા પ્રહાર
- બંધારણની વાતો કરનારી કોંગ્રેસને દેશની જનતા સારી રીતે ઓળખે છે
- ભાજપ બંધારણ અને લોકશાહીમાં માનનારી પાર્ટી: નીતિન પટેલ
વર્ષ 1975માં આજના દિવસે પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લગાવી હતી. જેને લઈને આજના દિવસને ભારતીય જનતા પાર્ટી કાળા દિવસ તરીકે જુએ છે અને પાર્ટીએ આજે દેશભરમાં કાર્યક્રમો યોજ્યા હતા. ત્યારે અમદાવાદ શહેર ભાજપ દ્વારા પણ આજે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને તેમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હાજર રહ્યા હતા.
કોંગ્રેસે અમને બંધારણ શીખવાડવાની જરૂર નથી
આ પ્રસંગે નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ઈન્દીરા ગાંધીએ પોતાની ખુરશી બચાવવા ઈમરજન્સી લગાવીને દેશને બાનમાં લીધો હતો. આજે કોંગ્રેસ જે બંધારણની વાતો કરી રહી છે પણ દેશની જનતા જાણે છે કે કોંગ્રેસે શું કર્યું હતું. તેમણે અમને બંધારણ શીખવાડવાની જરૂર નથી. ભાજપ પહેલેથી જ બંધારણ અને લોકશાહીમાં માનનારી પાર્ટી છે.
ઈમરજન્સી લાગુ કર્યાને આજે 49 વર્ષ થયા છે. ત્યારે ભાજપે કોંગ્રેસ પર ધારદાર પ્રહાર કર્યા છે. પીએમ મોદીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
શું કહ્યું પીએમ મોદીએ ?
સોશિયલ મીડિયા એક્સ પર પીએમ મોદીએ પોસ્ટ કરતા જણાવ્યું કે આજે એ મહાન પુરુષો અને સ્ત્રીઓને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે જેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો. કટોકટીના કાળા દિવસો આપણને યાદ અપાવે છે કે કેવી રીતે કોંગ્રેસ પાર્ટીએ મૂળભૂત સ્વતંત્રતાઓને નાબૂદ કરી હતી અને ભારતના બંધારણને કચડી નાખ્યું હતું, જેનો દરેક ભારતીય ઊંડો આદર કરે છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે સત્તામાં રહેવા માટે તત્કાલીન કોંગ્રેસ સરકારે દરેક લોકતાંત્રિક સિદ્ધાંતોની અવગણના કરી અને દેશને જેલમાં ફેરવી દીધો. જે કોઈ કોંગ્રેસ સાથે અસંમત હતા તેને ત્રાસ આપવામાં આવ્યો હતો. સૌથી નબળા વર્ગોને લક્ષ્ય બનાવવા માટે સામાજિક રીતે પ્રતિગામી નીતિઓ લાગુ કરવામાં આવી હતી.
કોંગ્રેસે સત્તાના સુખ માટે અધિકારો છીનવ્યા: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશમાં લોકશાહીની હત્યા કરવાનો અને તેના પર વારંવાર હુમલા કરવાનો લાંબો ઈતિહાસ છે. 1975માં આ દિવસે કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સી તેનું સૌથી મોટું ઉદાહરણ છે.


