- CBIએ 10 લાખનું ઈનામ જાહેર કર્યા છતાંય પરિણામ શૂન્ય
- પિતાએ વાળ નહીં કપાવવાની અને ચપ્પલ ન પહેરવાની બાધા લીધી છે
- વધુ તપાસમાં જલ્ધી અને નેહા કાલુપુર રેલ્વે સ્ટેશન સાથે ઉતર્યાના ફૂટેજ મળ્યા હતા
શહેરના ગીતામંદિર પાસે આવેલા જાણીતા બહુચરમાતા મંદિરમાં અનેક લોકોની માનતા અને બાધા પુરી થાય છે પણ આ જ મંદિરના પૂજારીના પરિવારની બાધા હજુય પુરી થઈ નથી. 2014માં ગુમ થયેલી તેમની પુત્ર જલ્ધીનો 2024માં પણ કોઈ ભાળ મળી નથી. જલ્ધીને શોધવા માટે અમદાવાદની સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાંચ, સીઆઈડી ક્રાઈમ અને દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈ પણ આજેય અંધારામાં ફાંફા મારી રહી છે. લાપત્તા જલ્ધી ત્રિવેદી ની કોઈ ભાળ આપે તો તેને 10લાખનું ઈનામ આપવાની જાહેરાત પણ કરાઈ છે આમ છતાંય આજદિન સુધી આ પુત્રીનો કોઈ અત્તોપત્તો નથી.
ગીતામંદિર પાસે આવેલા બહુચરમાતાજીના મંદિરમાં સેવાપુજાનુ કામ કરતાં હરેશભાઈની 15 વર્ષની પુત્રી જલ્ધી તા. 4-10-2014ના રોજ તેની બહેનપણી નેહા સાથે ટયુશન કલાસમાં ગઈ હતી અને ત્યાંથી પરત ન આવતા બન્ને દીકરીઓની ગુમ થયાની જાણ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોધાઈ હતી. આ તપાસ દરમ્યાન 4 દિવસ બાદ તા. 8-10-14ના રોજ વહેલી સવારે રહસ્યમય રીતે નેહા પરત આવી ગઈ હતી પણ જલ્ધીની કોઈ ભાળ મળી નહોતી.જેને લઈને આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી તેમણે બન્ને સગીરા અમદાવાદથી બહુચરાજી ગયા હોવાનુ લોકેશન મળતા તપાસ કરી જયા જલ્ધીનુ મોપેડ બસ સ્ટેન્ડ પાસેથી બિનવારસી મળી આવ્યું હતું. વધુ તપાસમાં જલ્ધી અને નેહા કાલુપુર રેલ્વે સ્ટેશન સાથે ઉતર્યાના ફૂટેજ મળ્યા બાદ બંને અલગ અલગ થઈ ગયા હોવાનુ અને નેહા કયાં અને કોની પાસે ગઈ તે જાણવા મળ્યુંનહોતું.
નેહાની પૂછપરછમાં તેની પાસેનો મોબાઈલ ફોન જલ્ધીની બીજી સહેલીની માતાના નામનો હોવાનું અને આ ફોન જલ્ધી જ ઉપયોગમાં લેતી હોવાનું ખુલ્યું હતુ, બાદમાં ચાર દિવસ બાદ જલ્ધીની ફેસબૂક એકાઉન્ટ કલોઝડ અચાનક બંધ થઈ ગયુ હતુ, આ કેસમાં નેહા જ સૌથી મોટી સાક્ષી હોવાથી પોલીસ સસ્પેક્ટ ટેસ્ટ પણ કરાવ્યો હતો તેમાં કોઈ પરિણામ મળ્યુ નહોતુ,આખરેતેમના હાથ ટુંકા પડતા 2016માં સીઆઈડી ક્રાઈમે તપાસ સંભાળી હતી અને શકમંદ,સાક્ષીઓ, પરિવારજનોના નિવેદનો ફરીથી લઈને શોધખોળ કરી હતી તેમાં પણ નિષ્ફળતા મળતા ગુજરાત હાઈકોર્ટના આદેથશી આ કેસ 2018માં સીબીઆઈને સોંપાયો હતો.
દેશના મહત્વના પેચીદા કેસ ઉકેલનારી સીબીઆઈ એજન્સી પણ આ કેસમાં કઈં ઉકાળી ના શકીને આખરે 10 લાખનું ઈનામ જાહેર કરીને હવે કલોઝર રિપોર્ટ ફાઈલ કરવાની તૈયારી કરી રહી છે. આજ દિન સુધી જલ્ધી ત્રિવેદીનું ગુમ થયાનું રહસ્ય પોલીસ ફાઈલમાં બંધ થઈને પડી રહ્યું છે.
આ કેસમાં ભલે તપાસ એજન્સીઓએ 10 વર્ષ બાદ આશા છોડી દીધી હોય પણ તેના પિતા હરેશભાઈએ આશા છોડી નથી. પિતાનુ કહેવુ છે કે આ કેસની તપાસ દરમ્યાન કેટલાક અધિકારીઓ મનોબળ તોડતા ઉડાઉ જવાબ પણ આપ્યા હતા. હાલમાં જયાં સુધી જલ્ધીનો કોઈ પત્તો ના મળે ત્યાં સુધી વાળ ના કપાવવાની અને ચપ્પલ ન પહેરવાની બાધા લીધી છે. મને ઈશ્વરમાં શ્રદ્ધા છે કે, મારી પુત્રી જયાં હશે તેનો પત્તો મને મળશે અને જો તે આ દુનિયામાં નહી હોય તો તેનો જવાબ મળશે.


