- સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ઠલવાતું રોકવા પાંચ નવા STPનું આયોજન
- રોજ ફક્ત 1,080 MLD પાણી ટ્રીટ થાય છેઃ613 MLD ટ્રીટ કર્યા વિના જ નદીમાં ઠલવાય છે
- હાલ, શહેરમાં AMCના કુલ 1,252 MLDની કેપેસિટી ધરાવતા 14 STP
AMC દ્વારા શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવાની નેમ સાથે મોટેરા, સાબરમતી, ન્યુ ચાંદખેડા, કોટેશ્વર, ભાટ ખાતે નવા સુએજ ટ્રીમેન્ટ પ્લાન્ટ (STP) બનાવવા સક્રિય વિચારણા કરવામાં આવી રહી છે અને આ હેતુસર 120થી 180ની કેપેસિટીના નવા STP બનાવવા માટે પ્લોટ શોધવા માટેની હિલચાલ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, સાબરમતી નદીમાં વધતા જતા પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા AMC અને GPCBની ઝાટકણી કાઢવામાં આવ્યા પછી સાબરમતી નદીને શુદ્ધ કરવા, શહેરના પર્યાવરણમાં નોંધપાત્ર સુધારો કરવાની નેમ સાથે નવા STP બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. હાલ, શહેરમાં AMCના કુલ 1,252 MLDની કેપેસિટી ધરાવતા 14 STP છે. પરંતુ શહેરમાં દરરોજ 1,693 MLD ગટરનું પાણી છોડવામાં આવે છે. આમ, AMCના STPમાં 1,080 MLD પાણી ટ્રીટ કરવામાં આવે છે. જ્યારે 613 MLD પાણી ટ્રીટ કર્યા વિના જ સાબરમતીમાં ઠલવાતું હોવાને કારણે નદીમાં પ્રદૂષણ વધે છે. AMC દ્વારા કરોડોના ખર્ચે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાબરમતી રિવરફન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (SRFDL) અંતર્ગત ફેઝ-2ની કામગીરી ચાલી રહી છે. સાબરમતી નદીમાં ટ્રીટ કર્યા વિના ઠલવાતા ગટરના ગંદા પાણીને કારણે SRFDLના પ્રોજેક્ટ પર માઠી અસર પડતી હોવાથી સાબરમતી નદીમાં ટ્રીટ કરેલા શુદ્ધ પાણી છોડવા હેતુસર નવા STP બનાવવાની તાતી જરૂર છે.


