- AMCએ લેકસિટી બનાવવા ગાઈડલાઈન કરી જાહેર
- લેકના સંરક્ષણ,ઇકો સિસ્ટમ કંઝર્વેશન માટે ગાઈડલાઈન જાહેર
- લેકની સુંદરતા વધારવા અને જાળવણી કરવા AMCની સૂચના
અમદાવાદમાં કુલ 156 નાના-મોટા તળાવ આવેલા છે.આ પૈકી 110 તળાવ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલા છે.આ તમામ તળાવની જાળવણી કરવાની જવાબદારી મ્યુનિ.તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓને સોંપાઈ છે. તળાવમાં આવતા ગટરના પાણીથી લઈને તળાવમાં થયેલા દબાણ અંગે મ્યુનિસિપલ કમિશનરને દર મહિને રીપોર્ટ આપવો પડશે.
અધિકારીઓને સમય પ્રમાણે રીપોર્ટ કરવો પડશે
અમદાવાદના 156 તળાવ પૈકી બાકીના તળાવ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપાશે.મ્યુનિસિપલ કમિશનરે વિવિધ ઝોનમાં આવેલા તથા હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તળાવના સંરક્ષણ તથા જાળવણી માટે ઈજનેર વિભાગ ઉપરાંત એસ્ટેટ વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગ તેમજ હેલ્થ અને લાઈટ વિભાગની સાથે ગાર્ડન વિભાગને તેમના વિભાગ હસ્તક આવતી કામગીરી સોંપી છે. તળાવની આસપાસ થતી ગંદકી, પાણીમાં થતી લીલ, અન્ય કચરા ઉપરાંત તળાવની માછલીઓના મોત થવા, તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ ના થવો વગેરે બાબતની અલગ અલગ વિભાગે સ્થળ તપાસ કરવી પડશે. ઝોન કક્ષાએ દર અઠવાડીયે એકવાર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક કરી તળાવની સ્થિતિની સમીક્ષા કરી જે તે ઝોનના એડીશનલ સીટી ઈજનેર રીપોર્ટ તૈયાર કરશે.
5 વિભાગોની કમિટી બની
શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તળાવોના સંરક્ષણ, વિકાસ, ઇકો સિસ્ટમ કન્ઝરવેશન તથા જાળવણી કરવા માટે હવે પાંચ વિભાગોની કમિટી બની છે. ઈજનેર વિભાગ દ્વારા તળાવનું ડેવપલમેન્ટ, કમ્પાઉન્ડ વોલ, વરસાદી પાણીના ઈનલેટ અને આઉટલેટની સ્થિતી, તળાવમાં ગટરનું પાણી આવે છે કે કેમ, પાણીનો રિપોર્ટ સહિતની કામગીરીનું નિરીક્ષણ કરવાનું રહેશે. જ્યારે એસ્ટેટ વિભાગ દ્વારા તળાવના કબ્જાની વિગતો, તળાવની આસપાસના દબાણી વિગતો, દબાણો હટાવવા માટેના આયોજનની વિગતો, હાલની સ્થિતીના ફોટોગ્રાફ સહિતની વિગતો તૈયાર કરીને આપવાની રહેશે.
ચકાસણી કરી રિપોર્ટ મોકલવાનો રહેશે
આ જ રીતે બગીચા ખાતાએ તળાવની આસપાસના વૃક્ષારોપણની સ્થિતી, તળાવની આસપાસ વોક વે બનાવવાની પરિસ્થિતી સહિતની વિગતોની ચકાસણી કરવાની રહેશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે તળાવની આસપાસ ગંદકીના સ્થળની વિગત અને સાફ કર્યાની વિગત, તળાવની આસપાસ ખુલ્લામાં યુરીનેશન તેમજ તેને બંધ કરાવવા માટેના આયોજનની વિગતો મોકલવાની રહેશે. લાઈટ ખાતાએ તળાવની ફરતે લાઈટની સુવિધા છે કે તેમ તેની ચકાસણી કરી રિપોર્ટ મોકલવાનો રહેશે. જ્યારે હેલ્થ વિભાગે તળાવની અંદરની સફાઈની વિગતો, માછલી અને જીવોની જાણવણી માટે ઓરેશન તથા અન્ય કામગીરીની વિગતોનો રિપોર્ટ આપવાનો રહેશે.


