- 8માં ધોરણ બાદ શાળા બંધ કરવાના નિર્ણય સામે વિરોધ
- શાળા બંધ ન કરવા DEOનો આદેશ છતાં શાળાની મનમાની
- ધોરણ.9માં પ્રવેશ માટે ના પાડતા વાલીઓનો હતો વિરોધ
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સ્કૂલ સામે ધોરણ 9ના વર્ગોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ આપવાનો ઇનકાર કરતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. ધોરણ 9ના વર્ગોને બંધ કરવાના શાળાના સંચાલકોના નિર્ણય સામે વાલીઓએ ભેગા થઇને વિરોધ નોંધાવ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે DEOએ પણ શાળાને બંધ ના કરવાનો આદેશ કર્યો છે તેમ છતા પણ શાળાના સંચાલકોની મનમાની સામે આવી છે.
શાળાના સંચાલકોએ DEO કચેરીના આદેશને ફગાવ્યો
શહેરની શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે. શાળામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ રાજસ્થાન સ્કૂલે ધોરણ-8 પછીના વર્ગોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. શાળાના આ નિર્ણય સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. DEOએ શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સૂચના છતા શાળાના સંચાલકો ધોરણ 8 પછીના વર્ગોને બંધ કરવા માંગે છે.શાળાના સંચાલકો અને ટ્રસ્ટીઓ DEOની સૂચનાને પણ ઘોળીને પી ગયા છે. શાળાના સંચાલકોને જ્યારે આ મામલે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે સંચાલકોએ વાત ટાળવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયાને જોઇને શાળાના સંચાલકો દૂર ભાગતા જોવા મળ્યા હતા. રાજસ્થાન સ્કૂલમાં ધોરણ 8 પછીના વર્ગોને બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે અને હવે વાલીઓએ વિદ્યાર્થીઓ માટે નવી સ્કૂલ શોધવી પડશે.
એડમિશન માટે આવેલા વાલીઓને લિવિંગ સર્ટિ પકડાવી દેવાયું
વાલીઓએ વિરોધ નોંધાવતા કહ્યું કે,23 એપ્રિલે જ્યારે એડમિશન માટે અમે આવ્યા ત્યારે સ્કૂલના સંચાલકો દ્વારા લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દેવામાં આવ્યું હતું અને કહ્યું કે વિદ્યાર્થિનીને અહીંથી લઇ જાઓ. અમે ધોરણ-9માં હિન્દી મીડિયમ બંધ કરી રહ્યાં છીએ. જ્યારે વાલીઓએ શાળાના સંચાલકોને સવાલ પૂછ્યો કે કેમ બંધ કરી રહ્યાં છો તો સંચાલકોએ ઉડતો જવાબ આપ્યો કે અમારી પાસે શિક્ષક નથી. તમે 8મું ધોરણ, 10મું ધોરણ અને 11મું ધોરણ ભણાવી શકો છો પણ નવમા ધોરણ માટે શિક્ષક નથી. આ મામલે વાલીઓએ રજૂઆત કરતા DEOએ સ્કૂલની મુલાકાત લીધી હતી અને તે બાદ DEOએ પરમીશન આપી હતી તેમ છતાં પણ શાળાના સંચાલકોએ મનમાની કરતા કહ્યું કે DEO સાહેબે અમને લેખિતમાં બાંહેધરી આપી નથી.


