- સામાન્ય દિવસોમાં રૂ. 15ની કિલોએ મળતી ડુંગળી રૂ. 40ની થઈ
- લીલા શાકભાજીની સાથે હવે બટાટાની કિંમત પણ ત્રણ ગણી વધી
- જયારે લીલા શાકભાજીમાં પણ કિલોએ રૂ.25 સુધીનો વધારો થયો
ઉનાળાની ગરમીમાં વરસાદ પડતા જ લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે તેવામાં ગરીબોની કસ્તૂરી સામાન્ય દિવસોમાં રૂ.15 કિલો મળતી હતી તે અત્યારે રૂ.40 કિલો વેચાણ થઈ રહી છે. જયારે બટાકા રૂ.15 કિલો વાળા રૂ.40 કિલો વેચાય છે. આમ ડુંગળી અને બટાકાના છેલ્લા સપ્તાહમાં જ કિલોએ રૂ 5નો વધારો થયો છે. જેના લીધે લોકોએ બટાકા અને ડુંગળી ખાવામાં કાપ મુકવાનો વારો આવ્યો છે. ખાણી-પીણીના ભાવોમાં આસમાને પહોંચી ગયા હોવા છતાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં રહેતા હોવાથી છેલ્લા ઘણા સમયથી કઠોળ, ખાદ્યતેલ અને શાકભાજીમાં કૃત્રિમ ભાવ વધારો કરી રહ્યાં છે. જેના લીધે ગૃહિણીના બજેટ ઉપર સીધી અસર જોવા મળી છે. ગૃહિણીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, મોંઘવારી ઘટવાનું નામ લેતી નથી. ઊલટાનું મોંઘવારી વધતી જાય છે. અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને તોલમાપ વિભાગમાં અપૂરતા સ્ટાફને લીધે બજારમાં કોઈ તપાસ કરવા જતા નથી. વેપારીના જણાવ્યા મુજબ બટાકા અને ડુંગળીની આવક ઓછી હોવાથી ઘણા સમયથી સ્ટોક ઓછો આવી રહ્યો છે. અને ગૃહિણીઓ વેફર,કાતરી બનાવવા માટે બટાકાનો સૌથી વધુ ખરીદી કરતી હોવાથી ભાવોમાં વધારો થયો છે. જયારે લીલા શાકભાજીમાં પણ કિલોએ રૂ.25 સુધીનો વધારો થયો છે. જેમાં કારેલા રૂ.40 કિલો હતા તે અત્યારે રૂ.90 કિલો મળી રહ્યા છે. ફુલાવર રૂ.35 કિલો હતુ તે રૂ.80 કિલો અને કોબીઝ રૂ.40 કિલો હતી તે રૂ.70 કિલો મળી રહી છે.


