- અંતિમ ટ્રાયલ પૂર્ણ, નવી ટ્રેન મુસાફરીના કલાકમાં 45 મિનિટનો ઘટાડો કરશે
- હાલ 130ની સ્પીડે દોડતી બંને વંદે ભારત ટ્રેન 5.25 કલાકમાં પહોંચાડે છે
- ટ્રેન પ્રારંભના સ્ટેશનથી અંતિમ સ્ટેશને પહોંચવામાં પાંચ કલાક 25 કલાકનો સમય લે છે
અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક વંદે ભારત ટ્રેન શરૂ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આવનારી ત્રીજી વંદે ભારત ટ્રેન 160ની સ્પીડે દોડશે. આ ટ્રેનનું અંતિમ ટ્રાયલ પૂર્ણ થયું હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. આથી દેશની સૌથી ઝડપી દોડનારી આ નવી વંદે ભારત ટ્રેન આ રૂટ પર પ્રથમ જોવા મળી શકે છે. હાલ અમદાવાદ-મુંબઈ રૂટ પર બે વંદે ભારત એક્સપ્રેસ દોડી રહી છે જે 130ની સ્પીડે દોડે છે જે પ્રારંભના સ્ટેશનથી અંતિમ સ્ટેશને પહોંચવામાં પાંચ કલાક 25 કલાકનો સમય લે છે. નવી વંદે ભારતની સ્પીડ 160 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડશે જે મુસાફરીના સમયમાં 45 મિનિટનો ઘટાડો કરશે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, નવી વંદે ભારત ટ્રેન સ્પીડ, મુસાફરોની સુવિધાઓ અને સલામતી સુવિધાઓના સંદર્ભમાં અન્ય વંદે ભારત ટ્રેનો કરતાં વધુ સારી હશે. નવી દિલ્હી-વારાણસી અને નવી દિલ્હી-કટરા સહિત અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલતી હાલની વંદે ભારત ટ્રેનોની તુલનામાં આ નવી વંદે ભારત ટ્રેનમાં અનેક નવા ફેરફારો કરવામાં આવ્યા છે. અમદાવાદ-મુંબઈના રૂટ પર નવી વંદે ભારત ટ્રેન દોડાવવાથી મુસાફરોનો 45 મિનિટ જેટલો સમયમાં બચાવ થશે. હાલમાં આ રૂટ પર મુસાફ્રી કરવામાં અંદાજે 5 કલાક અને 25 મિનિટનો સમય લાગી રહ્યો છે. આ અંગે અમદાવાદ-મુંબઈ વચ્ચેના ટ્રેકની પણ કામગીરી કરવામાં આવી હતી. ટૂંક સમયમાં આ ટ્રેનની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે.


