- બિન નિવાસી ભારતીયોને વિદેશમાં રૂપિયામાં એકાઉન્ટ ખોલવાની મંજૂરી અપાશે
- વિદેશમાં અને NRI વચ્ચે રૂપિયાનો વપરાશ વધે માટે ફોરેક્સ નિયમો હળવા કરવાની કવાયત
- હાલ ફોરેક્સ નિયમોમાં સુધારા કરવાની ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા વિદેશમાં ચલણ તરીકે રૂપિયાનો વપરાશ વધે માટે આ વર્ષથી મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે. હવેથી વિદેશમાં રૂપિયામાં બેંક એકાઉન્ટ ખોલાવી શકાશે. આ અંગે આરબીઆઈ ટૂંક સમયમાં મંજૂરી આપે તેવી શકયતા છે. આ માટે હાલ ફોરેક્સ નિયમોમાં સુધારા કરવાની ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે. વિદેશમાં આરબીઆઈ દ્વારા રૂપિયામાં બેંક એકાઉન્ટની મંજૂરી ઉપરાંત હવેથી એક ખાસ ફેરફાર એ કરવામાં આવશે કે, વિદેશમાં રહેતા હોય તેવા ભારતીય નાગરિકોને ભારતીય બેંકો તરફથી લોનની રકમ રૂપિયામાં આપવામાં આવશે.
મધ્યસ્થ બેંક ખાસ એકાઉન્ટ, જેમ કે, સ્પેશ્યલ નોન રેસિડેન્ટ રૂપિ અને સ્પેશિયલ રૂપિ વોસ્ટ્રો એકાઉન્ટ્સ દ્વારા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ (એફપીઆઈ)ને સક્ષમ બનાવશે. ગુરૂવારે આરબીઆઈ દ્વારા સાર્વજનિક કરવામાં આવેલા પોતાના વાર્ષિક અહેવાલમાં આ અંગેના ખુલાસા કરવામાં આવ્યા હતા. આ સાથે આરબીઆઈ એશિયન ક્લિયરિંગ યુનિયન (એસીયુ) મિકેનિઝમમાં રૂપિયા અને અન્ય સ્થાનિક ચલણોના ઉપયોગને પ્રોત્સાહન આપશે.
નોંધનીય છે કે, સ્થાનિક ચલણમાં દ્વિપક્ષિય વેપારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આરબીઆઈએ જુલાઈ 2022માં બેંકોને અન્ય દેશોની ભાગીદાર બેંકો માટે સ્પેશિયલ રૂપિ વોસ્ટ્રો એકાઉન્ટ્સ (એસઆરવીએ) ખોલવા અને જાળવવાની મંજૂરી આપી હતી.
ફોરેક્સ નિયમોમાં સુધારો
નોન રેસિડેન્ટ માટે ચલણ તરીકે રૂપિયામાં વ્યવહાર થતાં હોય તેવા બેંક એકાઉન્ટસ સંબંધિત ફોરેક્સ નિયમોની સમીક્ષા કરવામાં આવી રહી છે
ભારતની બેંકો દ્વારા બિન નિવાસી ભારતીયોને રૂપિયામાં લોન આપવા પર વિચાર
રિઝર્વ બેંક સ્પેશિયલ બિન-નિવાસી રૂપિયા અને સ્પેશિયલ રૂપિયા વોસ્ટ્રો એકાઉન્ટ્સ દ્વારા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ (એફપીઆઈ) સક્ષમ કરી શકે છે


