- કોઈ પણ જાહેરાત વગર નિર્ણય લેવાતા દિવ્યાંગોમાં ભારે રોષ
- અત્યાર સુધી જૂનું વાહન વેચે અને નવું ખરીદે તો ટેક્સમાં સંપૂર્ણ માફી હતી
- RTO કચેરીએ ભૂલ કરી, હવે એક જ વાર વાહન પર ટેક્સ માફી
સરકારની જાહેરાત વગર દિવ્યાંગોને એક વાહન વેચી દીધા પછી બીજા નવા વાહન પર RTO ટેકસમાં અપાતી રાહત બંધ કરી દેવાઇ છે. આ અંગે વાહનવ્યવહાર વિભાગે પરિપત્ર પણ કર્યો નથી. આમ છતાં આરટીઓ કચેરીઓએ પોતાની રીતે નિર્ણય લેતાં દિવ્યાંગોને બિનજરૂરી ટેકસની રકમ ચૂકવી પડે છે.
અત્યાર સુધી જૂનું વાહન વેચે અને નવું વાહન ખરીદી તો ટેકસમાં સંપૂર્ણ માફી હતી. RTO ના નિર્ણયથી દિવ્યાંગોમાં ભારે રોષ ભભૂકી ઊઠયો છેદિવ્યાંગ નાગરિક ટુ-વ્હીલર કે કારમાંથી કોઇ પણ વાહન પ્રથમવાર ખરીદી કરે ત્યારે તેને વાહન પાસિંગ વખતે RTO ના ટેકસમાં સંપૂર્ણ રાહત મળતી હતી. આ પછી થોડાક સમય બાદ જૂનું વાહન વેચી નાખે અને તેની સામે ટુવ્હીલર કે કારમાંથી કોઇ પણ એક વાહનની ખરીદી કરે ત્યારે તેને ફરી RTO ટેકસમાં રાહત મળતી હતી. નિયમ મુજબ વાહન ખરીદી કરનાર દિવ્યાંગ વ્યક્તિ પાસે ટેક્સ માફીનું એક પણ વાહન હોવું જોઇએ નહીં. વાહન ના હોય તો જ ટેકસમાં રાહત મળી શકે, પરંતુ છેલ્લા પાંચ મહિનાથી સરકાર કે વિભાગના પરિપત્ર વગર આરટીઓ અધિકારીઓએ દિવ્યાંગોને જૂની સિસ્ટમ પ્રમાણે વાહનની ખરીદી પર ટેક્સમાં રાહત બંધ કરી દેવાઇ છે.
RTO કચેરીએ ભૂલ કરી, હવે એક જ વાર વાહન પર ટેક્સ માફી
વાહનવ્યવહારના વિભાગના એક અધિકરીએ કહ્યું કે, નિયમ મુજબ કોઈ પણ દિવ્યાંગ નાગરિકને જીવનમાં એક જ વાહનની ખરીદી પર ટેકસમાં રાહત મળી શકે. આ સિવાય ટેકસમાં રાહત ના મળે. અત્યાર સુધી ટેકસમાં રાહત આપવાની RTO કચેરીએ ભૂલ કરી છે. હવે બીજા વાહનની ખરીદી વખતે RTO ટેકસમાં રાહત નહીં અપાય.


