- વૃદ્ધાએ SDMમાં ફરિયાદ કરતા કહ્યું, પુત્ર અને વહુ વારંવાર ગાળો બોલી માનસિક ત્રાસ ગુજારે છે
- સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરીમાં સિનિયર સિટીઝનનો ભરણપોષણના 145માંથી 125 કેસનો નિકાલ
- જ્યારે SDM-પૂર્વની કચેરીમાં કુલ 100 કેસમાંથી 87 કેસનો નિકાલ કરાયો
ગુરુકુળ ખાતે રહેતા આનંદશિવ એપાર્ટેમેન્ટમાં રહેતા વૃદ્ધ પતિનું મોત થયા બાદ સાથે વૃદ્ધ માતા સાથે તેમનો પુત્ર અને પુત્રવધૂ અસભ્ય વાણી, વર્તન કરતાં હોવાની સબડિવિઝનલ મેજિસ્ટ્રેટમાં ફરિયાદ નોંધાઈ હતી. વૃદ્ધાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારો પુત્ર અને વહુ મને ગાળો બોલીને ઘરની બહાર કાઢી મૂકવાની વારંવાર ધમકી આપીને માનસિક ત્રાસ ગુજારે છે.
બંને પક્ષકારોને સાંભળી સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ-પશ્ચિમ દ્વારા વૃદ્ધાને ભરણપોષણ માટે મહિને 10 હજાર આપવા તેમના પુત્ર અને વહુને હુકમ કર્યો હતો. આ પ્રકારના કેસો અમદાવાદની બંને SDM સમક્ષ આવે છે, જેમાં છેલ્લા ચાર વર્ષની સરખામણીમાં વર્ષ-2023માં સિનિયર સિટીઝનોના ભરણપોષના કેસમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે જુલાઇ-2024 સુધીમાં નોંધાયેલા 41 કેસમાંથી હાલ 31 કેસ પેન્ડિંગ છે. સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM)-પશ્ચિમની કચેરીમાં સિનિયર સિટીઝનનો ભરણપોષણના કુલ 145 કેસમાંથી 125 કેસનો નિકાલ કરાયો છે. હાલ માત્ર 20 કેસ પેન્ડિંગ છે. સૌથી વધુ વર્ષ-2023માં 48 કેસ નોંધાયા છે. જ્યારે SDM-પૂર્વની કચેરીમાં કુલ 100 કેસમાંથી 87 કેસનો નિકાલ કરાયો છે. હાલ 13 કેસ પેન્ડિંગ છે. વર્ષ-2022માં સૌથી વધુ 50 કેસ નોંધાયા છે. ઘણાં કિસ્સામાં અરજી બાદ પુત્રો દ્વારા સમાધાન કરી દેવાય છે. હુકમની પક્ષકારો નારાજ હોય તો દિન-60માં એપેલેટ ટ્રીબ્યુનલ અને જિલ્લા કલેકટર અમદાવાદ સમક્ષ અપીલ કરી શકે છે.
કુબેરનગરમાં વૃદ્ધ દંપતીને મહિને 10 હજાર ભરણપોષણ આપવા હુકમ
કુબેનરનગરમાં રહેતા રમેશ મેઘરાજાણી અને તેમની પત્નિ ભાવનાબેન બંને વૃદ્ધ છે. પોતાની બચત બાળકો પાછળ ખર્ચ થઈ ગઈ છે. હવે કોઇ આવક નથી. પુત્રએ મકાન પણ પચાવી પાડયું છે. આ કેસમાં ભરણપોષણ માટે મહિને રૂપિયા 10 હજારની રકમ આપવા હુકમ કરાયો હતો.
માતાને રહેવાની વ્યવસ્થા કરી આપવા બે પુત્રોને હુકમ
ચાંદખેડામાં સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા નિર્મલાદેવીએ પતિના મૃત્યુ બાદ બે પુત્ર દ્વારા અપાતા માનસિક ત્રાસ અંગે ફરિયાદ કરી હતી, જેમાં SDM- પશ્ચિમ ઉમંગ પટેલ દ્વારા સુનાવણી કરાઇ હતી. સુનાવણી બાદ વૃદ્ધ માતાને રહેવાની પૂરતી સગવડ કરી આપવા હુકમ કર્યો હતો.


