- મુંદ્રામાં નવી નાળનું 108 હેક્ટર ગૌચર અદાણી SEZ પાસેથી પાછું લીધું
- ગૌચર પર બાંધકામ થયાની અદાણીની દલીલ કોર્ટે ફગાવી અલગ અરજી કરવા કહ્યું
- અદાણી જૂથ દ્વારા આ જમીન પર બાંધકામ સહિતની પ્રવૃત્તિઓ થઇ ગઇ છે
કચ્છના મુંદ્રા તાલુકાના નવી નાળ ગામની ગૌચરની કિંમતી જમીન ગુજરાત સરકાર દ્વારા અદાણી જૂથને સેઝ(એસઇઝેડ) માટે આપવાના વિવાદમાં હવે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે સરકાર અને કચ્છ કલેકટરના વિવાદીત નિર્ણયને લઇ ગંભીર નારાજગી વ્યકત કરી.
નવી નાળ ગામની 108 હેકટર ગૌચરની જગ્યા પુનઃ યથાવત સ્થિતિમાં લાવી દેવા રાજય સરકારને કરેલા નિર્દેશને પગલે કચ્છ કલેકટર અને સરકારને 108 હેકટર જેટલી ગૌચરની જમીન અદાણી પાસેથી પાછી લઇ લેવાની ફરજ પડી હતી અને પુનઃ તેને ગૌચરની જમીનમાં મૂકી દઇ તે નિર્ણયની જાણ ગુજરાત હાઇકોર્ટને સોગંદનામાં મારફ્તે કરી હતી.
હાઇકોર્ટે આ નિર્ણયની અમલવારી કરવા રાજય સરકારને નિર્દેશ કર્યો હતો. દરમ્યાન અદાણી તરફ્થી આ નિર્ણય સામે વાંધો ઉઠાવાયો હતો અને જણાવાયું કે, અદાણી જૂથ દ્વારા આ જમીન પર બાંધકામ સહિતની પ્રવૃત્તિઓ થઇ ગઇ છે અને તેથી આ રીતે તેને પરત લઇ શકાય નહી. અમે તેના માટે પૈસા ચૂકવ્યા છે. જા કે, હાઇકોર્ટે અદાણીને સાફ્ સુણાવ્યું હતું કે, સરકારે તમારી પાસેથી જમીન પાછી લેવાનો નિર્ણય લીધો છે અને ગ્રામજનોને ગૌચરની જમીન આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે તમારી વાત અત્યારે અસ્થાને છે. તમારે સરકારના ઠરાવને પડકારવો હોય તો અલગ રિટ અરજી મારફ્તે પડકારી શકો છે.
ચીફ્ જસ્ટિસની ખંડપીઠે સરકાર અને કચ્છ કલેકટરના નિર્ણયને લઇ ભારે આશ્ચર્ય વ્યકત કર્યું હતું અને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કે, તમે ગામની ગૌચરની જમીન કેવી રીતે અન્ય હેતુ માટે આપી શકો..?ગૌચરની જમીન આપો તો પણ સામે વૈકલ્પિક ગૌચરની જમીન ઉપલબ્ધ કરાવવી જોઇએ. હાઇકોર્ટે રાજય સરકાર અને કચ્છ કલેકટરની ભારે ટીકા કરતાં જણાવ્યું હતું કે, સરકારનો આ નિર્ણય કોઇપણ રીતે યોગ્ય કે વાજબી જણાતો નથી. કલેકટર દ્વારા જે કંઇ પણ કરવામાં આવ્યું છે, તે ગેરકાયદેસર છે.


