- AMC બોર્ડમાં વિપક્ષે સૂત્રોચ્ચાર પોકારીને બેનરો દર્શાવી હોબાળો મચાવ્યો
- આ મામલે કોર્ટ મેટર ચાલી રહી છે અને મંદિરો રિલોકેટ કરવામાં આવશે : સ્ટેન્ડિંગ ચેરમેન
- ‘ધર્મ વિરોધી સરકાર નહીં ચલેગી, ભાજપ સરકાર હાય હાય’ સહિતના સૂત્રોચ્ચાર
મ્યુનિ. દ્વારા શહેરમાં 1,386 જેટલા ધાર્મિક દબાણોને દૂર કરવા અંગે નોટિસ આપવામાં આવી હોવા મામલે AMC બોર્ડમાં વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચાર પોકારીને બેનરો દર્શાવીને હોબાળો મચાવતા મેયર પ્રતિભા જૈને ગણતરીની મિનિટમાં જ બોર્ડ સમેટી લીધું હતું.
અમરાઈવાડીના કોર્પોરેટર અને દંડક દ્વારા સામાન્ય સભામાં મ્યુનિ. દ્વારા જે ધાર્મિક સ્થાનોને તોડવામાં આવી રહ્યા હોવા અંગે રજૂઆત કરતાં સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું કે, ધાર્મિક સ્થળો તોડવામાં આવી રહ્યા નથી, પરંતુ તેને રીલોકેટ એટલે કે અન્યત્ર જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. જોકે વિપક્ષના કાઉન્સિલરો મેયરના ડાયસ તરફ્ ઘસી ગયા હતા અને ‘ધર્મ વિરોધી સરકાર નહીં ચલેગી, ભાજપ સરકાર હાય હાય’ સહિતના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા મેયરે સામાન્ય સભાને બરખાસ્ત કરી હતી. MP, MLAની સંકલન સમિતિમાં BJPના જ ધારાસભ્યો બૂમો પાડે છે કે તેમના કામો થતા નથી, એવો વિપક્ષના કોર્પોરેટરે ટોણો માર્યો હતો તેમજ શહેરમાં પ્રી-મોન્સૂન પ્લાન નિષ્ફ્ળ ગયો હોવાનો અને ખારીકટ કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
વિપક્ષના કોર્પોરેટરે જણાવ્યું હતું કે, હાલમાં ચાતુર્માસ અને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે લોકોની આસ્થા અને લાગણી દુભાઈ રહી છે. ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આ સબજ્યુડીસ મેટર છે, હાલ કોર્ટ મેટર ચાલી રહી છે અને મંદિરો રીલોકેટ કરાશે. રોડ લાઈનના અમલમાં જરૂર હોય તો જ ધર્મસ્થાન દૂર કરાશે. આ ચર્ચા ચાલી રહી ત્યારે જ વિપક્ષના કાઉન્સિલરો ડાયસ તરફ્ ધસી ગયા હતા અને ભારે હોબાળો મચાવતાં મેયરે સામાન્ય સભામાં કામો મંજૂર કરી સભાને બરખાસ્ત કરી દીધી હતી. વિપક્ષે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું કે, રખિયાલમાં રોડ બનાવ્યા પછી ઈજનેર અધિકારીઓને ડ્રેનેજ લાઇન નાખવાની યાદ આવ્યું અને રોડ બની ગયા પછી રસ્તો તોડીને ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી હતી. AMC ઈજનેર અધિકારીઓનું અણઘડ આયોજનને કારણે જે નુકસાન ભોગવવું પડયું તે કર્મચારીઓના પગારમાંથી વસૂલવાની માંગ કરી હતી. વોટર સપ્લાય કમિટીના ચેરમેને કહ્યું હતું કે, એક સાથે પાંચ ઈંચ વરસાદ પડે તો પાણી ભરાય જ, પરંતુ તેનો સમય મર્યાદામાં નિકાલ થવો જોઈએ.


