- મેન્ટેનન્સના બહાને રેશનકાર્ડધારકોને કરાતી હેરાનગતિ
- પહેલા 7મી જુલાઈએ સર્વર શરૂ થશે તેમ જણાવવામાં આવ્યું હતું
- સર્વરની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ટ્રકોમાં ભરેલો પુરવઠાનો જથ્થો ખરાબ થઇ જશે
પુરવઠા વિભાગનું સર્વર મેન્ટેનન્સનાના બહાને ગત 7મી જુલાઇ સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી. પરંતુ 9 જુલાઇ સુધી સર્વર કાર્યરત થયું નથી. જેના લીધે પુરવઠાના વિતરણની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. મેઇન્ટેનન્સના બહાને રેશનકાર્ડધારકોને ધક્કે ચઢાવી દેવાયા હોવાનો કાર્ડધારકોએ રોષ વ્યક્ત કર્યો હતો. બીજીબાજુ ગોડાઉનમાં ટ્રકોની અંદર ભરેલો પુરવઠો સસ્તા અનાજની દુકાનો અને સબંધિત રેશનકાર્ડધારકો સુધી પહોંચાડી શકાતો નથી.
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગના ઓનલાઇન સર્વરમાં સુધારા માટે ગત 7મી જુલાઇ સુધી તમામ કામગીરી બંધ રાખવાની જાહેરાત કરાઇ હતી. આમ છતાં 9મી જુલાઇ સુધી સર્વર અપડેટ નહીં થતાં સસ્તા અનાજની દુકાનોથી અનાજના વિતરણની કામગીરી હજી સુધી ચાલુ થઇ શકી નથી. ચોમાસાની સિઝનમાં અનાજ ખાંડ-નમક સહિતનો જથ્થો નહીં પહોંચાડી શકાતા NFSA ના અમદાવાદમાં 3.50 લાખ રેશનીંગકાર્ડની 12 લાખ સહિત રાજ્યમાં 75 લાખ રેશનકાર્ડની 3.50 કરોડ જનસંખ્યાની સીધી અસર થઇ છે. આ સિવાય રેશનકાર્ડમાં સુધારા-વધારાની કામગીરી પણ થઇ શકતી નથી. જેના લીધે હેલ્થ કાર્ડ પણ કઢાવી શકતા નથી. સર્વરની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ટ્રકોમાં ભરેલો પુરવઠાનો જથ્થો ખરાબ થઇ જશે. તેમજ સસ્તા અનાજની દુકાનમાં ભરેલા અનાજના જથ્થાંમાં જીવડાં પડી જવાની દહેશત વ્યક્ત કરાઇ રહી છે.


