- રાજકોટમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન વખતે હોબાળો, 8ની અટક
- છોટાઉદેપુરના બે ગામડાંમાં ભાજપની પ્રવેશ-બંધીના બોર્ડ લાગ્યા
- ધ્રોલમાં ભાજપની સભામાં સૂત્રોચ્ચાર બાદ 100ની અટકાયત
ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ વંટોળ છે. વાંકાનેર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યું હતું, જેમાં એક અવાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લેવાયા હતા. સાથે જ અન્ય સમાજોને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરાયું હતું. વાંકાનેરના અગ્રણી નારૂભા ઝાલાએ જણાવ્યું હતું કે, ભાજપ હિન્દુત્ત્વની વાતો અમને ના શીખવાડે. ક્ષત્રિય સમાજની બહેન-બેટીઓ માટે અશોભનીય વાતો કરનારા રૂપાલાની ટિકિટ રદ્ કરી નથી, જેની સામે અમારો રોષ છે.
રાજકોટમાં કોઠારિયા રોડ ઉપર ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ કરતાં 8 યુવાનોની અટક કરાઈ હતી, ધ્રોલમાં ભાજપના ઉમેદવારની સભામાં ક્ષત્રિયોએ વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરતાં 100ની અટક કરાઈ હતી.
ભરૂચથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લામાં ભાજપના આગેવાનોની ચૂંટણી સભા વખતે પોલીસે કેટલાક રાજપૂત યુવાનોને નજરકેદ કર્યા હતા, 27મી એપ્રિલની મોડી રાતે કેટલાક યુવાનોને રોકીને પોલીસે અયોગ્ય વ્યવહાર કર્યો હતો. આ સંદર્ભે કાર્યવાહી માટે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર સુપરત કરાયું હતું.
છોટાઉદેપુરના નસવાડીના વઘાચ અને કોલંબા ગામે ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બોર્ડ લગાવવામાં આવ્યા છે. સ્થાનિકોએ આંદોલનને લઈ રણનીતિ ઘડી હતી, જેમાં ભાજપના આગેવાનોને પ્રચાર નહિ કરવા દેવા નક્કી કરાયું હતું સાથે જ અન્ય સમાજના લોકો પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરે તેવી અપીલ કરાશે.
જામનગરના PMનાં કાર્યક્રમ વખતે કોઈ હિતશત્રુ વિક્ષેપ સર્જે તેવી ભીતિ
જામનગરમાં રાજપૂત સમાજના ધરણાં બાદ 100 જેટલી મહિલાઓ સામે રવિવારે રાયોટિંગનો ગુનો નોંધાયો હતો, સોમવારે બપોરે જામનગર ખાતે ક્ષત્રિય અગ્રણીઓએ ભાજપ પ્રેરિત તત્ત્વો દ્વારા તાફાનો થતાં હોવાનો આક્ષેપ કર્યો હતો, જિલ્લા રાજપૂત સંકલન સમિતિએ બીજી મે ના રોજ વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ હિતશત્રુઓ આવું કોઈ કૃત્ય કરે તેવી ભીતિ વ્યક્ત કરી હતી.
સાંસદ કેસરીદેવસિંહ રાહુલ સામે બોલ્યા, પણ રૂપાલા વિશે ચુપ કેમ?
મોરબી ખાતેથી મળતાં અહેવાલો અનુસાર, વાંકાનેરના રાજવી એવા સાંસદ સામે કરણી સેનાએ રોષ વ્યક્ત કર્યો છે, વાંકાનેરના રાજવી અને રાજ્યભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રાહુલ ગાંધીના નિવેદનને લઈ તૂર્ત પ્રતિક્રિયા આપતાં મામલો ગરમાયો છે, કરણી સેનાએ કહ્યું કે, બહેન, દીકરીઓ વિરુદ્ધ બોલનારા રૂપાલા સામે કેમ કશું બોલ્યા નથી. તમે ક્ષાત્ર ધર્મ નિભાવવાને બદલે સમાજની હિંમતને ના તોડો.
રાહુલ ગાંધી સામે કાનૂની કાર્યવાહીની માગણી સાથે કરણી સેનાનું આવેદન
રાજકોટ : ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામેનો વિવાદ શમ્યો નથી ત્યાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજા-રજવાડાઓને લઈ કરેલી ટિપ્પણીથી રાજકોટ જિલ્લા કરણી સેનામાં આક્રોશ ફેલાયો છે. કરણી સેનાએ રાહુલ ગાંધી ઉપર કાનૂની કાર્યવાહી કરવાની માગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. કરણી સેનાના કાર્યકરોએ આ તબક્કે રાહુલ ગાંધી, હાય હાયના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ક્ષત્રિયોમાં ફાંટા : એક વર્ગ માત્ર ભાજપનો વિરોધ કરે છે
રાજકોટ : રૂપાલા સામે જોરદાર વિરોધ છે પણ રાહુલ ગાંધી સામે એટલો વિરોધ કરતાં નથી તેવા વિવાદ સાથે ક્ષત્રિયોમાં ફાંટા પડયા હોય તેવી સ્થિતિ છે. પી.ટી. જાડેજાએ કહ્યું કે, અમે રાહુલ ગાંધીને ગંભીરતાથી લેતાં નથી, બીજી બાજુ પદ્મિનીબાએ કહ્યું કે, રાહુલનો પણ વિરોધ થવો જોઈએ.


