- અમદાવાદ-અયોધ્યાની 11 જાન્યુઆરીથી ફ્લાઇટ શરૂ થશે
- રામ મંદિરની પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા એરપોર્ટ શરૂ થશે
- 6 જાન્યુઆરીથી અયોધ્યા એરપોર્ટ શરૂ કરાશે
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય અંતિમ ચરણમાં છે. જ્યાં એક તરફ આમંત્રણ પત્રિકાઓ લોકોને આપવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ અયોધ્યા એરપોર્ટ પર પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી 25 ડિસેમ્બરના રોજ અયોધ્યાના નિર્માણાધિન એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવી શકે છે.
આ સાથે જ અમદાવાદીઓ માટે રામ મંદિરના દર્શન કરવા માટે સારા સમાચાર આવી રહ્યા છે. જેમાં અયોધ્યાથી અમદાવાદની નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. જેમાં 11 જાન્યુઆરીથી ફ્લાઇટ શરૂ થશે. જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ખાનગી એરલાઇન્સ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે. આ ડાયરેક્ટ ફ્લાઈટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી થશે અને ફ્લાઈટનું ઉતરાણ અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ પર થશે. આ ફ્લાઈટ માટે ભક્તોએ મહત્તમ ભાડું 3999 જ ચૂકવવાનું રહેશે. ફ્લાઈટ ઓછામાં ઓછા 1 કલાક અને 50 મિનિટમાં લોકોને અયોધ્યા પહોંચાડી દેશે.
આ ઉપરાંત 6 જાન્યુઆરીથી અયોધ્યા એરપોર્ટનું સંચાલન શરૂ થઈ જશે. દિલ્હી અને અયોધ્યા વચ્ચે પહેલી ફ્લાઇટ પણ 6 જાન્યુઆરીથી શરૂ થઈ જશે.અયોધ્યાના નવનિર્મિત એરપોર્ટને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે.


