એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
પરીક્ષા આપવાની છુટ મળતા તબીબીઆલમમાં રોષની લાગણી ફેલાઈ હોવાની ચર્ચા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ એઇમ્સ (AIIMS)માં વિદ્યાર્થીની આત્મહત્યા (Suicide)ના કેસમાં પકડાયેલા પાંચ આરોપીઓ એમબીબીએસના અંતિમ વર્ષની આજથી શરૂ થતી પરીક્ષા આપશે. આ આરોપીઓ પોલીસ સંરક્ષણમાં પરીક્ષા આપવા ગયા છે. તેમને પરીક્ષા આપવા દેવા માટે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી અને કોર્ટના આદેશના પગલે તેમને ચુસ્ત પોલીસ સંરક્ષણ હેઠળ પોલીસ જાપ્તામાં પરીક્ષા આપવા લઈ જવાયા છે.
ગઇકાલે પાંચેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. હવે તેમને પરીક્ષા આપવાની પણ મંજૂરી મળી જતાં અનેક સવાલો વહેતાં થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે આત્મહત્યાના કેસના આ પાંચેય મુખ્ય આરોપીઓને પરીક્ષા આપવા મંજૂરી કેવી રીતે મળી ગઈ. તેના કારણે આ કેસમાં હવે ભીનું સંકેલવાના પ્રયત્નો શરૂ થઈ ગયા હોવાનું સ્પષ્ટપણે માનવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે પોલીસે હજી સુધી પાંચેય આરોપીઓની ઓળખ જાહેર કરી નથી. જ્યારે બીજા કિસ્સામાં તો પોલીસ ગુનેગારોની ઓળખ પરેડ કરાવતી હોય છે. આ કિસ્સામાં તો પોલીસ આવું કશું કરી રહી નથી.
તેથી આ પાંચેય ગુનેગારોની સગાસંબંધીઓ સાથે કુલડીમાં ગોળ ભાંગવામાં આવી રહ્યા હોવાની સંભાવના વધુ પ્રબળ બની છે. આત્મહત્યાની દુષ્પ્રેરણાના કેસમાં આ આરોપીઓએ એવી તે કઈ કારીગરી કરી કે તેમને આ પ્રકારે પરીક્ષામાં બેસવા મંજૂરી મળી ગઈ તે મોટો સવાલ છે. શું પોલીસ પર આ કેસમાં કોઈનું દબાણ છે તેવો સવાલ સ્થાનિક સ્તરે પૂછવામાં આવી રહ્યો છે. આ રીતે ગુનેગારોને પરીક્ષામાં બેસવા દેતા મંજૂરી મળી જતાં આખા રાજકોટના તબીબ આલમમાં આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે અને ચોરે અને ચૌટે મોટી ચર્ચા છે કે આ કયા પ્રકારનો કાયદો છે, આ રીતે છૂટ કોઈને કઈ રીતે આપી શકાય. શું અગાઉ આ રીતે કોઈને છૂટ આપવામાં આવી હતી.


