સરકારનું ધ્યાન ખેંચવા કર્મચારીઓને હડતાલનું એલાન આપવાની ફરજ પડી
તમામ શનિવારે રજાની માંગ સાથે દેશવ્યાપી બેંક હડતાલ
રાજકોટના ૧૫૦૦ સહિત ગુજરાતના ૧૫૦૦૦ કર્મચારીઓ જોડાયા
શનિ-રવિ બેંકોમાં રજા રાખવાથી ગ્રાહક સેવાને કોઇ અસર પડશે નહી : ડે.જનરલ સેક્રેટરી
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશભરની જાહેરક્ષેત્ર તેમજ ખાનગી બેંકોના કર્મચારીઓના 9 યુનિયનોના બનેલા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંકોમાં પાંચ દિવસના સપ્તાહના અમલીકરણની માંગણીના ટેકામાં તા. 27 જાન્યુઆરીને મંગળવારના રોજ દેશવ્યાપી બેંક હડતાલ કરી છે. જેમાં વિવિધ બેંકોના 8 લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા છે. રાજકોટના 1500, સૌરાષ્ટ્ર-કચ્છના 5500 સહિત ગુજરાતભરના 15000 જેટલા કર્મચારીઓ જોડાયા છે. બેંક હડતાલને કારણે ગ્રાહકોને પડનાર સભવિંત મુશ્કેલી અંગે યુનિયન દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી.
રાજકોટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઓફિસર્સ એસોસિએશનના ડેપ્યુટી જનરલ સેક્રેટરી પવન શર્માએ જણાવ્યું હતું કે, અઠવાડિયાના 5 દિવસની ફરજની અમારી ડિમાન્ડ 2015થી ચાલુ છે. 2015માં 2 શનિવારની રજા આપવામાં આવી હતી. બાકીના 2 શનિવાર માટે MoU પણ થઈ ગયા હતા આમ છતાં પણ અમારી માગણી સંતોષવામાં આવી નથી.
અગાઉ આઈબીએ સાથે થયેલી સમજુતીઓ અને કરાર હેઠળ બેંકોમાં 5 દિવસનું સપ્તાહ શરૂ કરવા અને મહિનાના તમામ શનિવારે જાહેર રજા રાખવાનું નક્કી થયું હતું. જેના બદલામાં બેંક કર્મચારીઓ સોમવારથી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ વધુ કામ કરશે તેવી પણ સહમતિ સાધવામાં આવી હતી. આ અંગે સરકારની સહમતીની રાહ જોવાય છે, પરંતુ સરકારે આ બાબતના અમલીકરણ માટે હજુ સુધી કોઈ જાહેરાત ન કરતા સરકારનું ધ્યાન ખેંચવા માટે બેંક કર્મચારીઓને હડતાલનું એલાન આપવાની ફરજ પડી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, અઠવાડિયામાં 5 દિવસના કામકાજથી કર્મચારીઓ પર કામનું ભારણ ઘટશે અને તેઓની કાર્યક્ષમતામાં વધારો થશે. કેન્દ્ર સરકાર અને કેટલીક રાજય સરકારો, LIC, રિઝર્વ બેન્ક, શેર બજાર, ફોરેક્સ માર્કેટમાં હાલ 5 દિવસનું સપ્તાહ અમલી છે. માત્ર બેંક કર્મચારીઓને જ બાકાત રાખવામાં આવ્યા છે. દર શનિ-રવિ બેંકોમાં રજા રાખવાથી ગ્રાહક સેવાને કોઈ અસર પડશે નહિ. કારણકે આજે નાણાકીય વ્યવહાર માટેના અનેક વિકલ્પો છે.
માંગણી સ્વીકારાયા બાદ સંતોષાતી નથી
બેંક કર્મચારીઓની માંગણી પાંચ દિવસના વીકની છે. વર્ષ ૨૦૧૫થી આ માંગણી કરવામાં આવી રહી છે અને વર્ષ ૨૦૨3માં આ માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી. પરંતુ બે વર્ષ બાદ પણ હજૂ પણ માંગણી સંતોષવામાં આવી નથી. આ ઉપરાંત આઉટ સોસિંગ અને રિક્રુટમેન્ટનો પણ મુદ્દો છે.
કરોડો રૂપિયાના કિલયરીંગ, નાણાકીય વ્યવહારો અટવાયા
બેંક હડતાળના કારણે કરોડો રૂપિયાના કિલયરીંગ અને નાણાકીય વ્યવહારો અટવાયા છે. કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર અને મેનેજમેન્ટ દ્વારા ટૂંક સમયમાં પાંચ દિવસના વર્કિંગ ડેઝ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.


