પ૭ વર્ષના મહિલા દર્દી બે વર્ષ સુધી પીડા સહન કરતા રહ્યાં ડોકટરે કહ્યું કંઇ નથી સારું થઇ જશે : અંતે અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવતા બ્રેસ્ટમાંથી પીન નીકળી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના ડો.પ્રશાંત વણઝારા પાસે ઓપરેશન કરાવનાર એક મહિલાને ઓપરેશન દરમિયાન બ્રેસ્ટમાં પીન રહી જતાં તેની પીડા બે વર્ષ સહન કરી હતી. આ પીડા અંગે અનેક વખત દર્દીએ ડો.પ્રશાંત વણઝારાનો સંપર્ક કર્યો હતો. પરંતુ ડોકટરે બેદરકારી દાખવી યોગ્ય નિદાન કર્યુ ન હતું. પરંતુ અન્ય હોસ્પિટલમાં દર્દીએ તપાસ કરાવતા બ્રેસ્ટમાં પીન હોવાનું માલુમ થયું હતું અને બાદમાં પીન કાઢવામાં આવી હોવાનો દર્દીના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગે તેમના પુત્ર દ્વારા જણાવાયા મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અનિલાબેન નરેન્દ્રભાઇ ત્રિવેદી (ઉ.વ.૫૭)ને બ્રેસ્ટ કેન્સર હોવાનું બે વર્ષ પૂર્વે નિદાન થતાં પુત્ર સંદીપ ત્રિવેદી ૧૫૦ ફૂટ રીંગ પર આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં માતાને લઇ ગયો હતો અને ત્યાં ઓપરેશન કરવાનું નક્કી થયું હતું. સ્ટર્લિંગ હોસ્પિટલમાં તત્કાલીન સમયે ફરજ બજાવતાં ડો.પ્રશાંત વણઝારા અને તેની ટીમે ઓપરેશન કર્યુ હતું. થોડા દિવસો હોસ્પિટલમાં રાખ્યા બાદ પ્રૌઢાને રજા આપી દેવામાં આવી હતી અને રેડિએશનનો તબક્કો પણ પૂરો કરી દેવાયો હતો. ઓપરેશન રેડિએશન બાદ દવા ચાલુ કરવામાં આવી હતી.
થોડા દિવસ પહેલા દવા પૂરી થતાં અનિલાબેન અસ્વસ્થતા અનુભવતા હતા અને તેમને જયાં ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યાં અસહ્ય દુ:ખાવો શરૂ થયો હતો. જેથી તબીબનો સંપર્ક કરતા તબીબે એક પાઉડર લખી આપ્યો હતો અને તેનો છંટકાવ કરવાનું કહ્યું હતું. ત્રિવેદી પરિવારની મહિલા સભ્યએ અનિલાબેનને પાઉડર લગાવવાનું શરૂ કર્યુ હતું. તો તેમના બ્રેસ્ટ પર પીન દેખાઇ હતી. આ દ્રશ્ય જોઇ ત્રિવેદી પરિવાર થોડીવાર માટે સ્તબ્ધ થઇ ગયો હતો અને નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં તબીબ પાસે અનિલાબેનને લઇ જવાતા ડો.પ્રશાંત વણઝારાની લાપરવાહીનો ભાંડો ફૂટી ગયો હતો.
અનિલાબેનના પુત્ર સંદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઓપરેશન વખતે સ્કિન કલોઝિંગ માટે સર્જિકલ સ્ટેપ્લર પીનનો ઉપયોગ ડોકટર વણઝારા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દર્દીની સ્થિતિ મુજબ ૧૦, ૧૫ કે ૨૦ દિવસ બાદ એ પીન દૂર કરવાની હોય છે. પરંતુ એટલુ જ નહી રેડીએશન આપનાર ટીમના પણ ધ્યાને નહી આવતા પ્રૌઢાની હાલત કફોડી બની હતી. ડો.પ્રશાંત વણઝારાએ સ્ટર્લિંગ હોસ્પિટલમાં અનિલાબેનનું ઓપરેશન કર્યુ હતું. હાલમાં ડો.વણઝારા વોકહાર્ટ હોસ્પિટલમા ફરજ બજાવતા હોવાનું સંદીપે જણાવ્યું હતું.