- અંબાજી મોહનથાળ નકલી ઘી મામલો
- પોલીસ ટીમ તપાસ કરવા માટે માધુપુરા પહોંચી
- દુકાનનો માલિક ફરાર થઈ ગયો
અંબાજીના મેળામાં લાખો લોકોએ મોહનથાળનો પ્રસાદ લીધો હતો, ત્યારે હવે ખુલાસો થયો છે કે આ મોહનથાળમાં જે મોહિની કેટરર્સ દ્વારા ઘી આપવામાં આવ્યુ હતું, તેના સેમ્પલ ટેસ્ટમાં ફેઈલ થયા છે અને આ નકલી ઘી હોવાનું સામે આવ્યું છે. વધુમાં તપાસ કરતા આ તપાસનો રેલો અમદાવાદમાં હોવાનું સામે આવ્યું છે. માધુપુરામાંથી નીલકંઠ ટ્રેડર્સમાંથી આ ઘી ખરીદાયું હોવાનું સામે આવ્યું છે.
માધુપુરા પહોંચી ટીમ
હાલમાં આ તપાસમાં બહાર આવ્યું છે કે નકલી ઘીનો પુરવઠો અમદાવાદના માધુપુરામાં આવેલા નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદવામાં આવ્યો હતો. જે મોહિની કેટરર્સ દ્વારા બાદમાં અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદ બનાવવામાં વાપરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ માટે નીલકંઠ ટ્રેડર્સ પહોંચી છે, જેમાંથી 15 કિલોના 3 ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં જો કે તપાસમાં નીલકંઠ ટ્રેડર્સના માલિક દુકનમાંથી મળી આવ્યા નથી અને દુકાનના કારીગરો તપાસમાં સહકાર ન આપી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
તપાસ હાથ ધરાઈ
આ મામલે વધુ તપાસ માટે અમદાવાદ મનપાની ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમ પણ માધુપુરામાં આવેલી નીલકંઠ ટ્રેડર્સની દુકાને પહોંચી હતી અને વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને નકલી ઘીનો હજુ વધુ કેટલો જથ્થો નીલકંઠ ટ્રેડર્સ પાસે હાજર છે અથવા આ જથ્થો અંબાજી સિવાય અન્યા કઈ કઈ જગ્યાએ સપ્લાય કરવામાં આવ્યો છે. તેની પણ તપાસ થઈ રહી છે.
માલિક ફરાર
જો કે છેલ્લી માહિતી અનુસાર પોલીસ અને મનપાની ટીમ માધુપુરા પહોંચે તે પહેલા જ નીલકંઠ ટ્રેડર્સના માલિક દુકાનથી ગાયબ થઈ ગયા હતા. આ ઉપરાંત દુકાનના કારીગરો પણ ચાવી લઈને બહાર નીકળી ગયા હતા અને તપાસમાં સહયોગ આપી રહ્યા ન હતા.