- બ્રિજ સાથે રસ્તા પર લાઇટિંગ કરવામાં આવશે
- 1.25 કરોડના ખર્ચે કરાશે શહેરને સુશોભિત
- વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ રસ્તાઓમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ
વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને એએમસીની તૈયારીઓ તેજ થઈ છે. આ સમિટને લઈને શહેરને શણગારવામાં આવશે અને સાથે જ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પણ કામગીરી કરવામાં આવશે. બ્રિજ સાથે રસ્તા પર લાઈટિંગ કરાશે અને તેને સુશોભિત કરવામાં આવશે. આ માટે કુલ 1.25 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. બ્યુટીફિકેશન સહિતની તમામ કામગીરી પણ કરવામાં આવશે.
પીએમ મોદી પણ આવશે ગુજરાતના પ્રવાસે
આગામી 9 અને 10 જાન્યુઆરીના વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદી વાયબ્રન્ટના આમંત્રિત પ્રમુખો સાથે પ્રવાસન સ્થળની મુલાકાત કરી શકે છે. આ સમયે તા. 9 જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. આ રોકાણ દરમિયાન એક સમીક્ષા બેઠક અને રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજનનું આયોજન કરવામા આવ્યુ છે. તેમજ 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે.
એરપોર્ટ પર ગુજરાતની અસ્મિતાની ઝાંખી
વાયબ્રન્ટ ગુજરાત 2024ને લઈને અમદાવાદના એરપોર્ટ પર તૈયારીઓ તેજ થઈ ગઈ છે. વાયબ્રન્ટ સમિટને કારણે અમદાવાદ એરપોર્ટ વિશેષ ચાર્ટડ પ્લેનથી ધમધમતુ રહેશે. ગુજરાત સરાકરે 3 દિવસ માટે ચાર્ટડ પ્લેનનું કરાવ્યું એડવાન્સ બુકીંગ કરાવી લીધું છે. વાયબ્રન્ટમાં આવનાર અતિથિઓ માટે ખાસ ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતની ઝાંખી કરાવાશે અને ગુજરાતની અસ્મિતાની ઝલક બતાવીને અતિથિઓનું સ્વાગત કરાશે.
રસ્તાઓ પર રંગરોગાન કરાયું
અમદાવાદ એરપોર્ટ જવાના રસ્તાઓ ઉપર રંગરોગાન, બેનર, પોસ્ટર, સહિતની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વાયબ્રન્ટની તૈયારીને લઈને અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીના તમામ રસ્તાઓ પર બેરીકેટસ લગાવી દેવાયા છે. વાયબ્રન્ટ ગુજરાત સમીટને લઈને એરપોર્ટ ઓર્થોરિટીમાં બેઠકમાં દોર શરૂ થઈ ગયો છે. અન્ય ફ્લાઇટની વ્યવસ્થા ખોરવાય નહીં તેવા પ્રકારની વ્યવસ્થા એરપોર્ટ પર કરવામાં આવશે.
સમિટ દરમિયાન કયા રસ્તાઓ રહેશે બંધ
ગુજરાત સરકાર દ્વારા આયોજીત વાઈબ્રન્ટ સમિટ આગામી 10મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર પાસે યોજાશે. આ કારણે અહીંના કેટલાક રૂટ પર અવર જવર માટે પ્રતિબંધ મૂકાયો છે. ગાંધીનગરમાં મહાત્મા મંદીર ને જોડતા ગ-0 થી ગ-5 સુધી રસ્તો જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે. તો સાથે જ 9થી 13 જાન્યુઆરી દરમિયાન ગ-0 થી ગ-5 સુધીનો રસ્તો જાહેર જનતા માટે બંધ રહેશે. VVIP મુવમેન્ટના કારણે રિંગરોડના કેટલાક ભાગ ભારે વાહનો માટે પણ બંધ કરવામાં આવ્યાં છે. વધુમાં આગામી 9 થી 13 જાન્યુઆરી દરમિયાન નાના ચીલોડાથી વૈષ્ણવદેવી સર્કલ અને વૈષ્ણવદેવીથી નાના ચીલોડા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


