- લોકો જીવ બચાવવા બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી
- ન્યૂયોર્કના હાર્લેમમાં છ માળની ઈમારતમાં લિથિયમ આયન બેટરીને લીધે આગ લાગી હતી
- મૃતક ભારતીયની ફાઝિલ ખાન તરીકેની ઓળખ થઈ હતી
ન્યૂયોર્કના હાર્લેમમાં શુક્રવારે એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં લાગેલી આગની ઘટનામાં 27 વર્ષીય ભારતીય નાગરિકનું મોત થયું હતું. આગ એટલી વિકરાળ હતી કે લોકો પોતાનો જીવ બચાવવા ઈમારત પરથી કૂદકો મારવા મજબૂર થયા હતા. આ ઘટનાનો સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયો હતો. આ આગમાં મૃતકની ઓળખ ફાઝીલ ખાન તરીકે થઈ છે. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે રવિવારે સવારે કહ્યું કે તેઓ પીડિતના પરિવાર અને મિત્રોના સંપર્કમાં છે જેથી તેના મૃતદેહને ભારત પરત મોકલવામાં આવશે. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે X પર લખ્યું, કે, “હાર્લેમ, એનવાયમાં એક કમનસીબ આગની ઘટનામાં 27 વર્ષીય ભારતીય નાગરિક ફાઝિલ ખાનના મૃત્યુ વિશે જાણીને દુઃખ થયું. ન્યૂયોર્કમાં ભારત સ્વર્ગસ્થ ફાઝીલ ખાનના પરિવાર અને મિત્રોના સંપર્કમાં છે. અમે ભારતને તેમના મોત બદલ વળતર માટે તમામ શક્ય સહાયતા આપવાનું ચાલુ રાખીએ છીએ,”
કોણ હતો ફાઝીલ ખાન?
પીડિત ફાઝીલ ખાન કોલંબિયા યુનિવર્સિટીની ટીચર્સ કોલેજ સ્થિત હેચિંગર રિપોર્ટમાં ડેટા રિપોર્ટર તરીકે કામ કરતો હતો. તેમના LinkedIn બાયો મુજબ, ખાન કોલંબિયા જર્નાલિઝમ સ્કૂલમાંથી સ્નાતક થયા જ્યાં તેમને સ્કૂલના ગ્લોબલ માઈગ્રેશન પ્રોજેક્ટ માટે પોસ્ટ-ગ્રેજ્યુએટ ફેલો તરીકે પણ પસંદ કરવામાં આવ્યા. તેણે 2018માં બિઝનેસ સ્ટાન્ડર્ડમાં કોપી એડિટર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી. તેમણે દિલ્હીમાં પત્રકાર તરીકે પણ કામ કર્યું હતું. ખાન-2020માં પોતાના શિક્ષણ માટે ન્યૂયોર્ક ગયો હતો.
ન્યૂયોર્કમાં આગની ભીષણ ઘટના
ન્યૂયોર્કના ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, લિથિયમ-આયન બેટરીને કારણે આગ ફાટી નીકળી હતી જેમાં હાર્લેમમાં સેન્ટ નિકોલસ પ્લેસ – છ માળની એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં એક યુવકનું મૃત્યુ થયું હતું અને અન્ય 17 લોકો ઘાયલ થયા હતા. અહેવાલ મુજબ, શુક્રવારે બપોરે 2 વાગ્યાની આસપાસ ત્રીજા માળે આગ લાગી હતી. 18 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી 12 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને હાલમાં ચાર લોકોની હાલત ગંભીર છે.
ફાયર વિભાગના વડા જોન હોજન્સે જણાવ્યું હતું કે, “ત્રીજા માળે, જ્યાં આગ શરૂ થઈ હતી ત્યાં એપાર્ટમેન્ટનો એક દરવાજો ખુલ્લો હતો. આગ એટલી તીવ્ર હતી…જો તમે કલ્પના કરી શકો, તો તે દરવાજામાંથી આગની જ્વાળાઓ બહાર આવી રહી હતી,” બચાવ કામગીરીના કેટલાક વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ જીવલેણ ઘટનામાં બચી ગયેલા ઈમારતના રહેવાસીઓને બહાર કૂદી જવાની અથવા ફાયર એસ્કેપનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.
આગની ભયાનકતાનું વર્ણન કરતાં, તેના પિતા સાથે બચી ગયેલા એક વ્યક્તિએ કહ્યું કે, “મારી પાસે જે છે તે – મારો ફોન, મારી ચાવીઓ અને આ વ્યક્તિ (તેના પિતા તરફ ઈશારો કરીને) હું બચી ગયો.”દરમિયાન, બિલ્ડિંગ વિભાગે ઘટનાને પગલે સંપૂર્ણ ખાલી કરવાનો આદેશ જારી કર્યો હતો.


