અમેરિકાએ ફરી 487 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી દેશનિકાલ કરવાની તૈયારી કરી લીધી છે. આ સમયે ભારતીયો સાથે દુર્વ્યવહાર થવાની શક્યતા અંગે ભારતે ચિંતા વ્યક્ત કરી છે.
અમૃતસરમાં લેન્ડ થયેલા અમેરિકન સરકારના પહેલા વિમાનમાં 104 અવૈધ પ્રવાસીઓમાં 37 ગુજરાતીઓ હતા. ગેરકાયદે ડંકી રૂટથી અમેરિકા જવામાં ગુજરાતીઓ અને પંજાબીઓ મોખરે છે. કેન્દ્ર સરકારે કહ્યું કે અમેરિકી અધિકારીઓએ ત્યાં રહેતા 487 વધુ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી છે અને તેમને ટૂંક સમયમાં ભારત પાછા મોકલવામાં આવશે. દરમિયાન, ભારતે ભારતીયોને દેશનિકાલ કરવામાં આવતા તેમના સાથે દુર્વ્યવહારની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
અમેરિકામાંથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા અંગે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વિદેશ મંત્રી (EAM) એ અમેરિકન અધિકારીઓ દ્વારા શેર કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) વિશે માહિતી આપી છે. વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે વિદેશ મંત્રીએ ધ્યાન દોર્યું કે આ પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી છે. જોકે, દેશનિકાલ કરાયેલા સ્થળાંતરકારો સાથે દુર્વ્યવહારનો મુદ્દો ગંભીર છે, જે અમે યુએસ અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે.
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએએ જણાવ્યું હતું કે અમેરિકાએ ભારતને 487 સંભવિત ભારતીય નાગરિકો વિશે માહિતી આપી છે જેમને દેશનિકાલના આદેશો જારી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમે યુએસ વહીવટીતંત્રને સ્પષ્ટ કરી દીધું છે કે દેશનિકાલ કરાયેલા ભારતીયો સાથે કોઈપણ અમાનવીય વર્તન સહન કરવામાં આવશે નહીં. જો અમને કોઈપણ પ્રકારના ગેરવર્તણૂકની જાણ થશે, તો અમે તાત્કાલિક તેને ઉચ્ચ સ્તરે ઉઠાવીશું.
વિદેશ સચિવે ગેરકાયદેસર સ્થળાંતરને પ્રોત્સાહન આપતી ગેંગ અને નેટવર્ક સામે નક્કર કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આપણે સમગ્ર સિસ્ટમમાં હાજર ઇકોસિસ્ટમ સામે પગલાં લેવાની જરૂર છે, જે ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપે છે. હવે ગુજરાતીઓમાં ફરી ટેન્શનનો માહોલ છે. યુએસ સરકારે બીજા 487 અવૈધ પ્રવાસીઓને મોકલવાની તૈયારીઓ કરી છે. જોકે, ક્યારે આ આવશે તેની ચોક્કસ વિગતો હજુ મળી શકી નથી.


