અતિ જર્જરીત અને ખખડધજ બિલ્ડીંગોથી રહીશોમાં ભયનો માહોલ
અમીન માર્ગ પરના હાઉસિંગ આવાસમાં તોળાતી ગંભીર ઘટના
ખૂદના પૈસાથી રિનોવેશનની કામગીરી આડે હાઉસિંગ બોર્ડની શરતોનું ગ્રહણ : જમીન ફ્રી હોલ્ડ કરવામાં ન આવે ત્યાં સુધી નવા પ્લાનને મંજૂરી નહી
ફ્રિ હોલ્ડનો ફતવો માત્ર રાજકોટમાં જ, અમદાવાદ, સુરત અને બરોડામાં કોઇ જોગવાઇ નહી હોવાનો સ્થાનિકોનો દાવો
પ્રશ્નના નિરાકરણ માટે શહેરના ધારાસભ્યો, મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી રજુઆત કરાઇ
રિનોવેશનની મંજૂરી નહી આવતા જર્જરીત મકાનમાં જીવના જોખમે રહેવા સ્થાનિકો મજબૂર બન્યાની વ્યથા
અગ્ર ગુજરાત, રાજકોટ
અમીન માર્ગ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ૫૦ વર્ષ જૂના ટેનામેન્ટ યોજનાના આવાસો અતિ જર્જરીત અને ખખડધજ થઇ ગયા છે. જેમાં સ્વખર્ચે પણ રિનોવેશનની પરવાનગી નહી મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. જયાં સુધી જમીન ફ્રી હોલ્ડ કરવામાં ન આવે ત્યાં સુધી નવા પ્લાન મંજૂર કરવામાં આવશે નહી તેવો ફતવો જાહેર કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
આ અંગે છેલ્લા ત્રણ વર્ષથી અનેક રજૂઆતો કરી ચૂકેલા સ્થાનિકે જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડનાં ટેનામેન્ટ ધારકોનો મુખ્ય પ્રશ્ન છે કે, સરકારની વર્ષ 2019ની જે પોલિસી છે, તેમાં જમીનને ફ્રીહોલ્ડ કરવાની 5 શરતો રાખવામાં આવી છે. જોકે તેમાં મકાનમાં રિનોવેશન કરવા માટે જમીન ફ્રીહોલ્ડ કરવી તેવી કોઈ વાત જ નથી પરંતુ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ઇજનેરે ફતવો બહાર પાડ્યો છે. જેને લઈ અમારા મકાનોના રિનોવેશન કરવા માટેના પ્લાન પાસ કરવામાં આવતા નથી.
અમે RTI કરી જેમાં સુરત, અમદાવાદ, તેમજ બરોડામાં આવી કોઈ જોગવાઈ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને શહેરી વિકાસનાં અધિકારીઓ ઉપરાંત મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી. એટલું જ નહીં રાજકોટનાં ત્રણેય ધારાસભ્યોને સાથે રાખીને અમે મુખ્યમંત્રીને મળીને રૂબરૂ રજુઆત કરવા છતાં સમસ્યા દૂર કરવામાં આવતી નથી. જેને લઈને PMOમાં પણ અમે રજુઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, આપની ડબલ એન્જીન સરકાર મધ્યમ વર્ગના લોકોને હેરાન કરી રહી છે ત્યારે આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માંગ અમે કરી છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડે જે જમીન માત્ર 50 પૈસામાં ખરીદી હતી, તેના હાલ વર્તમાન જંત્રી પ્રમાણે 35,000 માંગવામાં આવી રહ્યા છે. જેને કારણે પ્રતિ મકાન કુલ રૂપિયા 1 કરોડ ભરવા પડે તેમ છે. જે કોઈપણ સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી. અમારા મકાનો 50-60 વર્ષ જુના થયા છે તેમાં રહેવામાં જીવનું જોખમ છે છતાં અમને રિનોવેશન કરવા દેવામાં આવતું નથી. અમારી પાસેથી અગાઉ જ જમીનનાં અને ક્વાર્ટરનાં રૂપિયા વસૂલી લેવામાં આવ્યા છે. આ અન્યાય અને દાદાગીરી છે. શહેરી વિકાસ અને હાઉસિંગ બોર્ડનાં અધિકારીઓ મળેલા અને ભળેલા છે.
કેટલાક લોકોને તેમના મકાનમાં રહેવું અશક્ય હોવાથી મંજૂરી વગર પણ રીનોવેશન કરવું પડી રહ્યું છે. આવા મકાનધારકો પાસેથી અધિકારીઓ લાખો રૂપિયા લઈ રહ્યા હોવાનો મારો ખુલ્લો આરોપ છે. તેમજ અમારી માંગ છે કે, તાત્કાલિક આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે, જેથી અમે ફ્રીહોલ્ડ કરાવ્યા વિના મકાનો રીનોવેટ કરાવી શકીએ. અને મોતના ભયમાં જીવવું પડે નહીં. આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. જેને લઈને PMOમાં કરેલી રજૂઆતનું 17 ફેબ્રુઆરીનાં રોજ હિયરિંગ થવાનું છે. જેમાં આ મામલે અમારા હિતમાં નિર્ણય આવશે એવી અમને આશા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં હાઉસિંગ બોર્ડે બનાવેલી આવાસ યોજના પૈકી સૌથી જૂની અમીન માર્ગની આ ટેનામેન્ટ યોજનાની હાલત બદતર થવા લાગી છે. 50 વર્ષ જૂની આવાસ યોજનામાં જમીનની કિંમત કરોડોમાં છે પણ તેની ઉપરના મકાનોની ખખડધજ હાલત તેમાં રહેનારાઓ માટે જોખમ ઊભું કરનારી બની રહે છે.
નિયમોમાં છુટછાટની માંગણી કરી : સ્થાનિકો
મનપાની ટી.પી. શાખા અમારા પ્લાન મંજૂર કરતી નહીં હોવાથી અમારે નાછુટકે જીવના જોખમે ખખડધજ મકાનોમાં રહેવાનો વારો આવ્યો છે. અમે પ્લાન પાસ કરવા માટે નિયમોમાં છૂટાછાટની માગણી કરી છે પણ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ કે ઈજનેરો કોઈ પ્રત્યુતર આપતા નથી. આ મકાનો બન્યા ત્યારથી અમે રહીએ છીએ અમારા ટેનામેન્ટોની હાલત બગડી ગઈ છે અને રિપેરીંગ માટે મંજૂરી માંગવામાં આવે ત્યારે સરકાર દ્વારા ફ્રી હોલ્ડ માટે પૈસા માંગવામાં આવી રહ્યા છે.
રાજકોટ જ માત્ર નહી રાજય માટે નિયમ છે : હાઉસિંગ બોર્ડ
રાજકોટ જ નહિ પણ આખા રાજ્ય માટે એકસરખા નિયમને પરિપત્ર હોવાનું હાઉસિંગ બોર્ડનાં અધિકારીએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે, બધા જ મકાનો ટેનામેન્ટ સ્વરૂપના છે તેના માટે ફ્રીહોલ્ડ જમીન કરાવવી જરૂરી છે. અત્યારે અમે જંત્રી પ્રમાણે પૈસા લઈએ છીએ. ખરેખર તો જમીનોની કિંમત ખુબ વધી ગઈ છે છતાં જંત્રીદરે જ પૈસા વસૂલાય છે. રાજકોટ, અમદાવાદ,સુરત સહિત તમામ સ્થળે હાઉસિંગ બોર્ડ બનાવેલા ટેનામેન્ટ છે ત્યાં મકાનોના પ્લાન પાસ કરાવતા પહેલા જમીન ફ્રી હોલ્ડ કરાવવાની પોલિસી લાગૂ છે. આ રીતે પૈસા ભરપાઈ કરનારને ફ્રીહોલ્ડ કરી આપવામાં આવે છે.
સ્થાનિકોનો પ્રશ્ન હલ થઇ જશે : ધારાસભ્ય
ધારાસભ્ય દર્શિતા શાહે આ મામલે જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન ધારકો દ્વારા રિનોવેશન કરવાની મંજૂરી માટે રજુઆત કરવામાં આવી હતી. જેમનું પોતાનું મકાન છે અને રિનોવેશન કરવું હોય તેને ફ્રીહોલ્ડ કરવામાં આવે તેવી રજુઆત હતી. તેમનો આ પ્રશ્ન લઈ અમે બધાને સાથે રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રભારી જીતુભાઈ વાઘાણી અને શહેરી વિકાસનાં અધિકારીઓને પણ રજૂઆત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ પ્રશ્ન માત્ર રાજકોટ નહીં પરંતુ અમદાવાદ, બરોડા, સુરત સહિત ગુજરાતના તમામ શહેરોમાં આ પ્રશ્ન છે. સરકાર આ બાબતમાં લોકોની વાત સાથે સહમત છે, આ માટેની પોલિસી પણ તૈયાર કરાઈ રહી છે. જે ટૂંક સમયમાં જાહેર થતા હાઉસિંગ બોર્ડના મકાનધારકોનો પ્રશ્ન હલ થઈ જશે.


