રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્ય કૌશિક વેકરીયાએ રવિવારે વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા મુકામે સરકારી આયુર્વેદિક દવાખાનાના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આયુર્વેદિક દવાખાનાના નવા બિલ્ડીંગની માંગ હતી
આ પ્રસંગે શાળામાં યોજાયેલા અભિવાદન સમારંભને સંબોધતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં વિકાસકાર્યો આપી રહી છે. વડિયા તાલુકામાં લાંબા સમયથી આયુર્વેદિક દવાખાનાના નવા બિલ્ડીંગની માંગ હતી તે પણ પૂર્ણ કરવામાં આવી રહી છે. વડિયા-કુંકાવાવ તાલુકો પણ જિલ્લાની સાથે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.
ખેડૂતોને મુશ્કેલીમાંથી બહાર લાવવાનો પ્રયાસ
મુખ્યમંત્રીએ વડિયા તાલુકાની પ્રથમ સરકારી કોલેજ મંજૂર કરી અને તે શરૂ થઈ જતા આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દૂર જવું પડતું નથી, તેના લીધે વિદ્યાર્થીઓને ફાયદો થશે.તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારના હૈયે ખેડૂતોનું હીત રહેલું છે તેથી જ મુશ્કેલીના સમયમાં તાત્કાલિક રૂ. ૧૦,૦૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ અને રૂ. ૧૫,૦૦૦ કરોડની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી ખેડૂતોને મુશ્કેલીમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે.


